![]()
Ahmedabad Plane Crash: અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ પર એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો(AAIB)ના પ્રારંભિક રિપોર્ટમાં અનેક ઘટસ્ફોટ થયા છે. આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, એર ઈન્ડિયાએ વર્ષ 2019માં બોઈગના નિર્દેશો પછી અમદાવાદમાં ક્રેશ થયેલા બોઈગ 787-8 ડ્રીમલાઈનર વિમાનના થ્રોટલ કંટ્રોલ મોડ્યુલ (TCM)ને બદલ્યું હતું. ટીસીએમમાં ફ્યુલ કંટ્રોલ સ્વિચનો સમાવેશ થાય છે.
AAIBના પ્રારંભિક રિપોર્ટ અનુસાર, એર ઇન્ડિયાના બોઈંગ 787-8 ડ્રીમલાઇનર વિમાને અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી ગણતરીના સેકન્ડોમાં બંને એન્જિનના ફ્યુલ કંટ્રોલ સ્વિચ ‘રન’થી ‘કટઓફ’ થઈ ગયા હતા. જેના કારણે એર ઈન્ડિયા ફ્લાઇટ નંબર 171ના કોકપિટમાં ખામી સર્જાઈ હતી.
એર ઈન્ડિયાએ વર્ષ 2019 અને 2023માં TCMને બદલ્યું હતું
એર ઈન્ડિયાએ વર્ષ 2019 અને 2023માં અમદાવાદમાં ક્રેશ થયેલા બોઈગ 787-8 ડ્રીમલાઈનર વિમાનના થ્રોટલ કંટ્રોલ મોડ્યુલ (TCM)ને બદલ્યું હોવાનો AAIBના પ્રારંભિક તપાસ રિપોર્ટમાં ઉલ્લેખ છે. જો કે, આ રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે, TCMને બદલવાનો ફ્યુલ કંટ્રોલ સ્વિચ સાથે કોઈ સંબંધ નથી.
આ પણ વાચો: પાકિસ્તાન એરલાઇન્સની ગંભીર બેદરકારી, લાહોરથી કરાચી જવા નીકળેલો યુવક સાઉદી પહોંચી ગયો!
એક અહેવાલ અનુસાર, બોઈંગ દ્વારા વર્ષ 2019માં ડ્રીમલાઈનર વિમાનના તમામ ઓપરેટરો માટે રિવાઈઝ્ડ મેન્ટેનન્સ પ્લાન ડોક્યુમેન્ટ (MPD) જાહેર કર્યો હતો. જેમાં 24,000 કલાકની ફ્લાઈટ પૂર્ણ કર્યા પછી ઓપરેટરોને TCM બદલવાની સૂચના આપવામાં આવી હતી. બોઈંગ દ્વારા વર્ષ 2019માં એમપીડી જાહેર કર્યા પછી એર ઈન્ડિયાએ વર્ષ 2019 અને 2023માં બે વાર ક્રેશ થયેલા વિમાનમાં TCMને બદલ્યું હતું.
બીજી તરફ AAIBના રિપોર્ટને લઈને રવિવારે (13મી જુલાઈ) એર ઈન્ડિયાના પ્રવક્તાએ બોઈગના ઘણાં સવાલોના જવાબ મોકલ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘અમે સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનના પ્રોટોકોલનું પાલન કરીએ છીએ. AI171 (અમદાવાદમાં ક્રેશ થયેલ એર ઇન્ડિયાનું વિમાન) વિશે માહિતી પૂરી પાડવા માટે અમે AAIB પર આધાર રાખીશું.’
AAIBએ પ્રારંભિક રિપોર્ટમાં શું કહ્યું?
અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ પર એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રારંભિક રિપોર્ટમાં અનેક ઘટસ્ફોટ થયા છે. 12મી જૂન 2025ના રોજ અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ ઍરપોર્ટથી લંડન માટે ઉડાન ભરનારી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171નું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ફક્ત 32 સેકન્ડમાં આકાશમાંથી પડી ગયું હતું. AAIBના રિપોર્ટ અનુસાર, બન્ને એન્જિન બંધ થયા છતાં પાયલટ અંતિમ શ્વાસ સુધી વિમાનને બચાવવાનો પ્રયાસ કરતા હતા. જો કે, એન્જિન-1માં રિકવરી શરુ થઈ ગઈ હતી, પરંતુ એન્જિન 2ને ચાલુ કરી શકાયું નહીં. પાયલટે મેડે (MAYDAY) કોલ આપ્યો હતો. જો કે, થોડી જ સેકન્ડો પહેલા જ વિમાનને બચાવવા માટે છેલ્લો પ્રયાસ કર્યો હતો. મેડે કોલના માત્ર 13 સેકન્ડ પહેલા પાયલટે એન્જિન ફ્યુલ કંટ્રોલ સ્વિચને કટઑફથી રનમાં પરત ફેરવ્યું, જેનો અર્થ થાય છે કે, એન્જિન ફરીથી સ્ટાર્ટ કરવાની પ્રક્રિયા શરુ કરાઈ હતી.










