![]()
Air India Flight Technical fault: એર ઈન્ડિયાના વિમાનોમાં સમસ્યા અટકવાનું નામ નથી લઈ રહી. મળતી માહિતી પ્રમાણે તાજેતરમાં દોહા જતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ બે કલાક પછી કાલિકટ એરપોર્ટ પર પરત ફરી હતી. એવુ કહેવાય છે કે, વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાથી પરત ફરવું પડ્યું હતું. જે અંગે એર ઈન્ડિયા એક્સપ્રેસનું નિવેદન સામે આવ્યું છે. નોંધનીય છે કે, અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના બાદ એરલાઇન કંપનીઓ ખૂબ જ સતર્ક બની ગઈ છે. જેના કારણે વિમાનોના ઉડાનમાં ખાસ સાવધાની રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: કોઈ દેશે ભારતનો સાથ ન આપ્યો, ટ્રમ્પ સીઝફાયર પર 25 વખત બોલ્યા પણ PM મોદી ચૂપ: રાહુલ ગાંધી
પ્રવક્તાએ શું કહ્યું
એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, ટેકઓફ બાદ ટેકનિકલ ખામીના કારણે અમારી એક ફ્લાઈટ કોઝિકોડમાં પરત ફરી હતી. અમે દરેક મુસાફરો માટે વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરી છે. આ સિવાય તેમને નાસ્તો પણ આપવામાં આવ્યો છે. પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, આ દરમિયાન મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમને દુખ છે. તેમજ મુસાફરોની સલામતી અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે.
આ પણ વાંચો: મિલીભગત કરી લોકોને લૂંટતા બિલ્ડર અને બૅન્ક કર્મચારીઓ વિરુદ્ધ એક્શન લેશે CBI, સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
અધિકારીએ કહ્યું હતું કે, આ ઇમરજન્સી લેન્ડિંગ નહોતું
એરપોર્ટના અધિકારીએ જણાવ્યું હતું કે, ફ્લાઇટ IX 375 માં પાઇલટ અને ક્રૂ મેમ્બર સાથે કુલ 188 મુસાફરો સવાર હતા. વિમાને સવારે 9:07 વાગ્યે કાલિકટ એરપોર્ટથી ઉડાન ભર્યુ હતું, પરંતુ બે કલાક બાદ તેમાં સવારે 11:12 વાગ્યે એરપોર્ટ પર પાછું ફર્યું હતું. સત્તાવાર નિવેદન પ્રમાણે વિમાનના કેબિન એસીમાં કોઈ ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી. નિવેદનમાં કહેવામાં આવ્યા પ્રમાણે આ ઇમરજન્સી લેન્ડિંગ નહોતું.










