![]()
– સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા રોડ પર
– ધ્રાંગધ્રા તરફથી આવતી કારે બે બાઇકને અડફેટે લીધી, બંનેના મૃતદેહ પીએમ માટે ખસેડાયા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર કટુડા ગામ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય છ લોકોને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આજે વહેલી સવારે ધ્રાંગધ્રા તરફથી સુરેન્દ્રનગર પૂરઝડપે આવી રહેલા કારના ચાલકે કટુડા ગામના પાટિયા પાસે બે બાઈકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં નાથુભાઈ ડાયાભાઈ ક્લોત્રા ( ઉં.વર્ષ ૨૬)અને મહેશભાઈ જેઠાભાઈ કડ (ઉં.વર્ષ ૨૫, બન્ને રહે.દુધરેજ) ને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જયારે મહેશભાઈ કડ અને અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતને પગલે રસ્તા પર લોકો તેમજ વાહન ચાલકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. તેમજ આ બનાવની જાણ થતાં મૃતક યુવકોના પરિવારજનો સહિત સમાજના આગેવાનો તેમજ પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો અને બન્ને યુવકોના મુતદેહનો કબજો લઈ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જયારે છ ઇજાગ્રસ્તોને સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ મામલે સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે. આ બાબતે જોરાવરનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે એક જ સમાજના બે આશાસ્પદ યુવકોના અકસ્માતમાં મોત નીપજતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે આ અંગે હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.










