![]()
વડોદરા,કન્સટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમજીવીઓની સલામતી અંગે યોગ્ય વ્યવસ્થા નહી ંકરવામાં આવતા મોતની ઘટના બને છે. આજે વધુ એક શ્રમજીવીનું મોત થયું છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અલકાપુરી વિશ્વાસ કોલોની રામા સ્પેક્ટ્રામાં આજે સવારે સાડા નવ વાગ્યે રાજદેવ સુખદેવ રાય, ઉ.વ.૫૦ (રહે.પરહિયા ગામ, મુઝફ્ફરપુર, બિહાર) કામ કરતો હતો. ત્રીજા માળે સીડી મૂકી તે કામ કરતા સમયે તે નીચે પટકાતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે અટલાદરાની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. જે અંગે અકોટા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જાંબુવા ગામ નજીક સહજ નામની કન્સટ્રક્શન સાઇટ પર પહેલા માળે પાણી છાંટતી વખતે નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થયેલા શ્રમજીવીનું મોત થયું હતું. તેમજ તરસાલી બાયપાસ પાસે કાન્હા નિર્મલ સાઇટના બીજા માળે પ્લમ્બિંગનું કામ કરતા શ્રમજીવીને કરંટ લાગતા મોત થયું હતું.










