![]()
– જિલ્લામાં 6 મહિનામાં આગની 60 ઘટના
– મનપા પાસે અગાઉ 4 મોટા અને 3 મિની ફાયર ફાઈટર્સ હતા
– બે હજાર લિટરની ક્ષમતા, 6 નોઝલ સાથે ૨૨૫ ફૂટ દૂર સુધી પાણીનો મારો ચલાવી આગ કાબૂ કરી શકાશે
આણંદ: કરમસદ આણંદ મનપાએ રૂા. ૩ કરોડના ખર્ચે ૨૦,૦૦૦ લિટર પાણીની ક્ષમતા ધરાવતું ગજરાજ ફાયર ફાઈટર ખરીદ્યું છે. આણંદ શહેર સહિત જિલ્લામાં આગની મોટી ઘટના સમયે મદદરૂપ થઈ શકશે.
કરમસદ આણંદ મહાપાલિકા વિસ્તારમાં ૬ મહિનાથી આગ લાગવાની ૬૦ ઘટનાઓ બની છે. મનપા પાસે હાલ ચાર મોટા અને ૩ મીનિ ફાયર ફાઈટર્સ છે. ફાયર ફાઈટરની હાલ ૪ હજાર લિટર ક્ષમતાની ટેન્કરોના કારણે કટોકટીના સમયે પાણી ખાલી થઈ જતા ભરવા ફરી જવું પડતું હોવાથી આગ બુઝાવવામાં વિલંબ થતો હતો. પાલિકાએ રૂા. ૩ કરોડના ખર્ચે ૨૦ હજાર લિટર પાણીની ક્ષમતાવાળું ગજરાત ફાયર ફાઈટર ખરીદ્યું છે. જે ૨૨૫ ફૂટ દૂર ફોર્સથી પાણી ફેંકી શકતું હોવાથી કર્મચારીઓના દાઝવાના બનાવ અટકાવી શકાશે. ગજરાજમાં ૧૫ ફૂટ ઊંચે લાઈટિંગ ટાવર હોવાથી અંધકારની સમસ્યાઓ નિવારી શકાશે. કમ્પ્યુટર સંચાલિત ટેન્કરના કારણે ડિજિટલ એપથી પાણી કેટલું બાકી છે તેની ડ્રાઈવરને જાણ થઈ જશે. ૬ નોઝલ હોવાના કારણે આગ ઓલવવામાં ઝડપની સાથે કાબૂ મેળવવામાં પણ સરળતા રહેશે. આગ ઉપર કાબૂ મેળવવામાં મદદરૂપ થાય તેવા વિવિધ આધુનિક અને ઓટોમેટિક ઉપકરણો પણ ગજરાજ ફાયર ફાઈટરમાં ઉપલબ્ધ છે.










