![]()
૧.૪૨ લાખ કરોડપતિ પરિવારો સાથે મુંબઈ દેશનું કરોડપતિઓનું પાટનગર
મુંબઈ : દેશમાં સમૃદ્ધ વ્યક્તિઓની સંખ્યામાં છેલ્લા ચાર વર્ષમાં ૯૦ ટકા જેટલો વધારો થયાનું એક રિપોર્ટમાં જણાવાયું છે. રૂપિયા ૮.૫૦ કરોડ અથવા તેનાથી વધુની નેટવર્થ સાથેના કરોડપતિ પરિવારોની સંખ્યા જે ૨૦૨૧માં ૪.૫૮ લાખ હતી તે ૨૦૨૫માં વધી ૮.૭૧ લાખ પર પહોંચી ગયાનું મર્સિડીઝ-બેન્ઝ હુરુન ઈન્ડિયા વેલ્થ રિપોર્ટ ૨૦૨૫માં જણાવાયું હતું.
૧.૪૨ લાખ કરોડપતિ પરિવારો સાથે મુંબઈ દેશનું કરોડપતિઓનું પાટનગર છે. ૬૮૨૦૦ સાથે બીજા ક્રમે દિલ્હી અને ૩૧૬૦૦ લખપતિ પરિવારો સાથે બેંગ્લુરુનો ત્રીજો ક્રમ રહ્યો છે.
રાજ્યોમાં ૧.૭૮ લાખ પરિવારો સાથે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમનું રાજ્ય રહ્યું છે.
રિપોેર્ટની સાથોસાથ મર્સિડીઝ-બેન્ઝ હુરુન ઈન્ડિયા ઈન્ડેકસ (એમબીએચએકસ) તથા લકઝરી કન્ઝયૂમર સર્વ ૨૦૨૫ પણ બહાર પડાયો હતો. એમબીએચએકસમાં મર્સિડીઝ-બેન્ઝનું વેચાણ, નવા ઉમેરાયેલા લખપતિઓ, સેન્સેકસની કામગીરી તથા જીડીપીના આંકડાને આવરી લેવામાં આવે છે.
ભારતમાં કરોડપતિ પરિવારોની સંખ્યા ચીનના ૫૧ લાખની સરખામણીએ ઘણી ઓછી છે. અમેરિકામાં પણ આ સ્તર ઘણું ઊંચુ છે.
એમબીએચએકસમાં ૨૦૦ ટકા વધારો થયો છે જે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે દેશમાં સંપતિનું નિર્માણ થઈ રહ્યાના સંકેત આપે છે.
પોતાની ઈન્વેસ્ટમેન્ટ અગ્રતાઓમાં આ લખપતિઓ સ્ટોકસ, રિઅલ એસ્ટેટ તથા સોનાને પ્રાધાન્ય આપી રહ્યા છે. ૨૦૨૧થી ૨૦૨૫ના ગાળામાં નિફટી ૫૦ ઈન્ડેકસમાં ૭૦ ટકા વધારો થયો છે જ્યારે સોનાના ભાવ પણ આ ગાળામાં લગભગ બમણા થઈ ગયા છે.
લકઝરી વ્યવહારોમાં કાર્ડસ તથા રોકડ કરતા યુપીઆઈનો વપરાશ વધી ગયો હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. દેશના સમૃદ્ધોમાં વિદેશી ઈન્વેસ્ટમેન્ટ માટે અમેરિકા પ્રથમ પસંદગી છે જ્યારે બીજા ક્રમે યુએઈ છે.
ભારતની સંપતિની રચના ખરી અને સ્થિતિસ્થાપક છે, એમ હુરુન ઈન્ડિયાના સ્થાપક અનસ રહમાન જુનૈદે જણાવ્યું હતું. દેશમાં અબજોપતિઓની એકંદર સંખ્યામાંથી લગભગ ૮૦ ટકા દસ રાજ્યોમાં સ્થાઈ થયેલા છે.










