![]()
વડોદરા : જમવા બાબતે ઝઘડો થતા તેની અદાવત રાખી વાઘોડીયા તાલુકાના કોટંબી
ગામમાં રહેતા આધેડે કુહાડીના ઘા ઝીંકી પુત્રની હત્યા કરી હતી. આ અંગેનો કેસ સાવલી
કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે પુત્રની હત્યા કરનારા પિતાને કસુરદાર ઠેરવી આજીવન
કેદની સજા તેમજ રૃા.૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. આરોપી જો દંડની રકમ ન ચૂકવે તો
વધુ એક વર્ષની સખ્ત કેદનો પણ આદેશ કરવામાં આવ્યો હતો.
કેસની વિગત એવી છે કે, તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ કોટંબી ગામમાં
રહેતા કનુભાઇ ભરતભાઇ પરમાર તેમજ તેના પત્નિ કૈલાસબહેન અને પુત્ર રાકેશ ઘરે હાજર
હતા ત્યારે પિતા અને પુત્ર વચ્ચે જમવા બાબતે ઝઘડો થતા રાકેશે તેના પિતા કનુભાઇને
લાતો મારી હતી. ત્યાર બાદ રાત્રે જમીને પરિવારના તમામ સભ્યો સુઇ ગયા હતા. દરમિયાનમાં
મોડી રાત્રે લાકડા ખખડવાનો અવાજ આવતા કૈલાસબહેન જાગી ગયા હતા અને તેમણે જોયુ તો
તેમના પતિ હાથમાં કુહાડી લઇને સઇ રહેલા પુત્ર પાસે ઉભા હતા.
પતિએ નિર્દયતા પુર્વક સુઇ રહેલા પુત્રની ગરદન પર ચારથી પાંચ
કુહાડીના ઘા મારતા પુત્ર લોહીલુહાણ થઇ ગયો હતો અને પતિએ કરેલા આ ઘતકી હુમલાથી
ગભરાઇ ગયેલા કૈલાસબહેન બુમ પણ પાડી શક્યા ન હતા. હુમલો કર્યા બાદ પતિએ હવે તમે સુઇ
જાવ તેમ કહી ઘરેથી ફરાર થઇ ગયો હતો. વાઘોડીયા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી જે તે
સમયે આરોપી કનુભાઇ પરમારની ધરપકડ કરી હતી અને આ અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા તેમાં
સરકારી વકીલ સી.જી.પટેલે દલીલો કરી હતી. ન્યાયાધીશે આરોપી કનુભાઇ પરમારને આજીવન
કેદની સજા કરી હતી.










