PM Modi–Putin Meeting: રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન બે દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે. ગઈકાલે વડાપ્રધાન મોદીએ તેમનું ઍરપોર્ટ પર સ્વાગત કર્યું અને પછી બંને નેતાઓ એક જ ગાડીમાં બેસીને વડાપ્રધાનના નિવાસ સ્થાને બેઠક માટે ગયા હતા. આજે બંને નેતાઓ વચ્ચે હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ. આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ યુક્રેન સંઘર્ષ મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું.

યુક્રેન સંકટ પર વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન
યુક્રેન સંકટ પર વાત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું, કે ‘યુક્રેન મુદ્દે આપણી વચ્ચે સતત ચર્ચા થતી રહે છે. એક સાચા મિત્રના રૂપે તમે પણ તમામ ઘટનાઓથી અમને પરિચિત કર્યા. મને વિશ્વાસ છે કે વિશ્વ ફરી શાંતિના માર્ગ પર પરત ફરશે. પાછલા દિવસોમાં જ્યારે પણ મારી દુનિયાના નેતાઓ સાથે વાત થઈ ત્યારે મેં વારંવાર કહ્યું છે કે ભારત ન્યૂટ્રલ ( તટસ્થ ) નથી, ભારત શાંતિના પક્ષમાં છે. શાંતિના તમામ પ્રયાસોમાં અમે તમારી સાથે ખભેથી ખભો મિલાવીને ઊભા છીએ. વિશ્વએ કોવિડથી લઈને અત્યાર સુધી ઘણા સંકટ જોયા છે, આશા છે કે હવે પ્રગતિની રાહ પર આગળ વધશે.’
જેના જવાબમાં પુતિને પણ કહ્યું કે, રશિયા પણ શાંતિના જ પક્ષમાં છે. યુક્રેન સંઘર્ષ પર વાતચીત ચાલી રહી છે અને હું તમને આ વિષય અંગે સમય સમય પર અપડેટ આપતો રહીશ.

PM મોદીએ પુતિનને દીર્ઘદૃષ્ટા નેતા ગણાવ્યા
પુતિન સાથેની દ્વિપક્ષીય બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, કે 2001માં તમે પદ સંભાળ્યું અને પહેલીવાર ભારત આવ્યા હતા, તે વાતને 25 વર્ષ થઈ ગયા. તે પહેલી ભારત મુલાકાતમાં તમે બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોનો પાયો નાંખ્યો હતો. મારા માટે પણ ખુશીની વાત છે કે તમારા અને મારા સંબંધોને પણ 25 વર્ષ થયા. તમે 2001માં જે ભૂમિકા નિભાવી તે એક દીર્ઘદૃષ્ટા નેતાનું ઉત્તમ ઉદાહરણ છે.










