![]()
– પિતા- પુત્ર, કાકા- ભત્રીજો, નોકરિયાતને ઈજા
– તૈયબપુરા અસામલી રોડ, સાસ્તાપુર સીમ, જસભાઈના કુવા અને દાવલિયાપુરા પાસે અકસ્માત
નડિયાદ : ખેડા જિલ્લામાં અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. તૈયબપુરા અસામલી રોડ, સાસ્તાપુર સીમ, જસભાઈના કુવા પાસે અને દાવલિયાપુરા પાસે અકસ્માત સર્જાયા હતા. આ ચાર અકસ્માતમાં પાંચ બાઈક ચાલક સહિત આઠ વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી. બનાવો અંગે જે તે પોલીસ મથકમાં ગુના દાખલ કરાયા છે.
તારાપુર તાલુકાના ખડાના કિસ્મતભાઈ જેહાભાઇ સોલંકી દીકરા વિજયને મોટર સાયકલ પર બેસાડી પાલ્લા વૌઠાના મેળામાં જતા હતા. ત્યારે તૈયબપુરા અસામલી પાલ્લા રોડ ઉપર સામેથી આવતી ગાડી સાથે અથડાતા બાઈક સવાર બંનેને ઈજા થઈ હતી. બંનેને ગુપ્તાંગમાં ગંભીર ઇજા થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. લીંબાસી પોલીસે ગાડીના ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.
મહુધા તાલુકાના બલાડીના મહેશભાઈ બચુભાઈ સોઢા પરમાર મોટરસાયકલ પર અમદાવાદ નોકરી જતા હતા ત્યારે સાસ્તાપુર સીમ નજીક સામેથી ગાડીએ ટક્કર મારતા બાઈક ચાલક ગટરમાં ઉતરી પડતા ઇજા થઈ હતી. આ બનાવ અંગે મહુધા પોલીસે ગાડીના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.
નડિયાદ મંજીપુરા રોડ પર સેવા ગામના નરેશભાઇ બાબુભાઈ પારગી અને હરપાલસિંહ લાલસિંહ ગરાસીયા મોટરસાયકલ પર મહુધા જતા હતા. દરમિયાન જસભાઈના કુવા નજીક ખાડો આવતા બ્રેક મારતા પાછળ આવતી બાઈક અથડાઈ હતી. જેથી બંને બાઈક ચાલક, પાછળ બેઠેલા સવારને ઈજા થઈ હતી. નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઉપરાંત નડિયાદ ફતેપુરા રોડ કેનાલ ઉપર રહેતા સુરેશભાઈ સનાભાઇ પરમાર તેમના ભત્રીજા સાથે બાઈક પર જતા દાવલીયા પૂરા કેનાલ નજીક રોડ પર કૂતરા આવતા બાઈક પરથી પડી જતા સુરેશભાઈ પરમારને ઇજા થઈ હતી. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે બાઈક ચાલક ધર્મેશભાઈ રાજેન્દ્રભાઈ પરમાર સામે ગુનો દાખલ કર્યો છે.










