![]()
– ફેબુ્રઆરી 2021 માં યોજાયેલી જિલ્લા અને તાલુકા પંચાયતોની ટર્મ 2026 ના પ્રારંભમાં પૂર્ણતાને આરે
– નડિયાદ મનપામાં 13 વોર્ડની ૫૨ બેઠકો માટે પ્રથમ જંગ સાથે પંચાયતોનું રણશિંગુ ફૂંકાશે : નપાના નવા સીમાંકનમાં અનેક દિગ્ગજોના પત્તા કપાવવાની ભીતિ, લોબિંગ શરૂ
નડિયાદ : ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પાંચ વર્ષની મુદત પૂર્ણતાના આરે છે. ત્યારે જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ફેબુ્રઆરી ૨૦૨૧માં યોજાયેલી જિલ્લા અને તાલુકા પંચાયતોની ટર્મ ૨૦૨૬ના પ્રારંભમાં પૂર્ણ થઈ રહી છે, પરંતુ વહીવટી ગૂંચવણો અને મતદાર યાદીના ખાસ સુધારણા કાર્યક્રમને પગલે હવે આ ચૂંટણીઓ એપ્રિલ ૨૦૨૬માં યોજાય તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.
નડિયાદ નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ આ પ્રથમ ચૂંટણી હોવાથી સમગ્ર રાજ્યની નજર ખેડા જિલ્લા પર ટકેલી છે. વહીવટદાર શાસન હેઠળ ચાલી રહેલી નડિયાદ મનપામાં ૧૩ વોર્ડની ૫૨ બેઠકો માટે પ્રથમ વખત જંગ જામશે. નડિયાદ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ કરાયા બાદ વોર્ડ સીમાંકનમાં ધરખમ ફેરફાર થયા છે. આ સ્થિતિમાં વર્ષોેથી શહેરી વિસ્તારોમાં વર્ચસ્વ જમાવીને બેઠેલા અનેક પૂર્વ કાઉન્સિલરોના રાજકીય પત્તા કપાઈ જાય તેવી દહેશત ઉભી થઈ છે. નવા સીમાંકન બાદ હવે ગામના પ્રતિનિધિઓ પણ મનપાની ટિકિટ માટે મજબૂત દાવેદારી કરી રહ્યાં છે, જેને કારણે પૂર્વ કાઉન્સિલરોએ પોતાની બેઠક બચાવવા માટે હાઈકમાન્ડ સ્તરે જોરદાર લોબિંગ શરૂ કરી દીધું છે.
બીજી તરફ, ગ્રામ્ય કક્ષાએ કોંગ્રેસ માટે આ વખતે અસ્તિત્વ ટકાવી રાખવાની લડાઈ છે. ગત ચૂંટણીમાં જિલ્લા પંચાયતની ૪૪ બેઠકોમાંથી ભાજપે ૪૦ બેઠકો જીતીને વિરોધ પક્ષને માત્ર ૪ બેઠકો પર સીમિત કરી દીધો હતો. એપ્રિલમાં યોજાનારી આ ચૂંટણીઓમાં શાસક પક્ષ એન્ટી-ઇન્કમ્બન્સી ટાળવા નવા ચહેરાઓને ઉતારવાની તૈયારીમાં છે, જ્યારે કોંગ્રેસ પાયાના સ્તરે સંગઠન મજબૂત કરવા મથી રહી છે. રાજ્ય ચૂંટણી આયોગના મતદાર યાદી સુધારણા કાર્યક્રમ મુજબ ફેબુ્રઆરીના મધ્યમાં આખરી યાદી પ્રસિદ્ધ થયા બાદ ગમે ત્યારે ચૂંટણીનું જાહેરનામું બહાર પડી શકે છે, જેના કારણે જિલ્લા વહીવટી તંત્ર પણ મતદાન મથકો અને ઈવીએમની સજ્જતા ચકાસવામાં વ્યસ્ત બન્યું છે.
ગ્રામ્ય વિસ્તારોનો મનપામાં વજ્રપાત
નડિયાદ શહેરની આસપાસના ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ થતા ગ્રામ્ય જનતામાં મિશ્ર પ્રતિસાદ છે. એક તરફ વિકાસની આશા છે, તો બીજી તરફ ટેક્સના ભારણની ચિંતા છે. આ ગ્રામ્ય વિસ્તારો હવે નિર્ણાયક મતબેંક સાબિત થશે, જેના કારણે રાજકીય પક્ષોએ શહેર કરતા ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
ઓબીસી અનામત સાથેનો પ્રથમ જંગ
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઝવેરી પંચની ભલામણો બાદ પ્રથમ વખત ઓબીસી અનામતનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ નવી વ્યવસ્થા હેઠળ નડિયાદ મનપામાં પછાત વર્ગ માટે ૧૪ બેઠકો અનામત રાખવામાં આવી છે, જેમાંથી ૭ બેઠકો મહિલાઓ માટે છે. આ ફેરફારને કારણે વર્ષોથી સામાન્ય બેઠકો પર વર્ચસ્વ ધરાવતા અનેક નેતાઓએ હવે જ્ઞાતિના સમીકરણો મુજબ નવી રણનીતિ ઘડવી પડશે.
એસઆરઆઈ કામગીરીમાં વિલંબ
મતદાર યાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ એટલે કે, એસઆરઆઈ ૨૦૨૬ના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તેના નિયત સમય કરતા પાછી ઠેલાઈ છે. વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ પ્રક્રિયામાં અનેક વિસ્તારોમાં મતદારોના નામ કમી થવા અથવા ખોટા વોર્ડમાં સમાવેશ થવા જેવી ગંભીર ક્ષતિઓ સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
વહીવટી તંત્ર સજ્જ : ફેબુ્રઆરીમાં જાહેરનામું અને એપ્રિલમાં જંગની શક્યતા
ખેડા જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટી તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠકોનો દૌર શરૂ થયો છે, જેમાં મતદાન મથકોની ભૌતિક સ્થિતિ, ઈવીએમની ઉપલબ્ધતા અને સંવેદનશીલ મથકોના લિસ્ટિંગ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. ફેબુ્રˆઆરી માસના મધ્યમાં અથવા અંતિમ સપ્તાહમાં ચૂંટણીનું સત્તાવાર જાહેરનામું બહાર પડી શકે છે. જો આ સમયરેખા મુજબ પ્રક્રિયા ચાલે તો માર્ચમાં ફોર્મ ભરવાની અને ચકાસણીની કામગીરી પૂર્ણ કરી એપ્રિલ ૨૦૨૬ના પ્રથમ કે બીજા સપ્તાહમાં મતદાન યોજાય તેવી પ્રબળ સંભાવનાઓ જોવા મળી રહી છે.










