Bihar Gaya News: બિહારના ગયાજીમાં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં વાયુસેનાના ભૂતપૂર્વ અધિકારીએ જાતે જ પોતાની અંતિમયાત્રા કરી હતી. વાયુસેનાના નિવૃત્ત અધિકારીએ પોતાના જ મોતનું નાટક કરી અંતિમયાત્રા કઢાવી હતી. આમ કરવા પાછળનું કારણ માત્ર એટલું જ હતું કે, તે જાણવા માગતો હતો કે, તેના મૃત્યુ બાદ કેટલા લોકો તેની અંતિમ વિધિમાં હાજર રહેશે અને કેવુ દુઃખ વ્યક્ત કરશે.
74 વર્ષીય મોહન લાલે જીવતેજીત મૃત હોવાનો ડોળ કર્યો હતો. તેના પરિવાર તથા મિત્રોએ પણ મોહન લાલના આ ડોળમાં સહકાર આપ્યો હતો. અને તેની અંતિમયાત્રાની તમામ તૈયારીઓ કરી હતી. તેની અંતિમયાત્રામાં સેંકડો લોકો જોડાયા હતાં. બેન્ડ બાજા સાથે ‘રામ નામ સત્ય હૈ’ના નારા સાથે અંતિમ યાત્રા નીકળી હતી. સાઉન્ડ સિસ્ટમમાં ‘ચલ ઉડ જા રે પંછી, અબ દેશ હુઆ બેગાના’ ની ધૂન પણ વાગી રહી હતી.
ગ્રામજનો સ્મશાન પહોંચ્યા હતાં
ગ્રામજનો મોહનલાલની અંતિમવિધિમાં ભાગ લેવા સ્મશાન પહોંચ્યા હતાં. સ્મશાનઘાટ પહોંચ્યા બાદ તેનું પ્રતિકાત્મક પૂતળુ બાળવામાં આવ્યું હતું. ત્યારબાદ સામૂહિક ભોજનનું પણ આયોજન કર્યું હતું. આ ઘટના આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય બની હતી. મોહન લાલે જણાવ્યું કે, હું જોવા માગતો હતો કે, મારી અંતિમ વિધિમાં કોણ-કોણ સામેલ થાય છે. લોગો મર્યા બાદ અર્થી ઉઠાવે છે. પરંતુ હું આ દ્રશ્ય પોતે જ જોવા માગતો હતો કે, મારા મર્યા બાદ લોકો મારૂ કેટલુ સન્માન કરે છે, મને કેટલો સ્નેહ આપે છે.
વાયુસેનાના નિવૃત્ત અધિકારી
મોહન લાલે કહ્યું, વાયુસેનામાંથી નિવૃત્ત થયા પછી, દેશની સેવા કર્યા પછી મારા ગામ અને સમાજની સેવા કરવાની ઇચ્છા હતી. મારા ગામમાં, વરસાદની ઋતુમાં અગ્નિસંસ્કાર કરવો મુશ્કેલ બને છે. આ સમસ્યાને ધ્યાનમાં લેતાં મને સ્મશાન બનાવવાની ઇચ્છા થઈ. અને મેં આ ઈચ્છા પૂરી કરી. તેના ઉદ્ઘાટન દરમિયાન મેં મારી પોતાની અંતિમયાત્રા જ કાઢી હતી. મારી અંતિમયાત્રામાં ભાગ લેનારા લોકોને જોઈને મને ખૂબ આનંદ થયો.











