![]()
Gandhinagar News: રાજ્યના પાટનગરમાં પાણીજન્ય રોગચાળાએ અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને જૂના સેક્ટરો અને આસપાસના વિસ્તારોમાં ટાઇફોઇડના કેસોમાં મોટો ઉછાળો આવતાં આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. સિવિલ હૉસ્પિટલમાં દર્દીઓનો એવો ધસારો છે કે બેડ ખૂટી પડ્યા છે અને તાત્કાલિક ધોરણે વધારાનો વૉર્ડ શરુ કરવાની ફરજ પડી છે.
એક માસૂમનું મોત, સ્થિતિ ચિંતાજનક
પાટનગરમાં પ્રસરેલા આ રોગચાળામાં અત્યાર સુધીમાં 150થી વધુ લોકો સારવાર હેઠળ છે, જેમાંથી 50 જેટલા કેસ પોઝિટિવ નોંધાયા છે. સૌથી દુખદ બાબત એ છે કે, સારવાર લઈ રહેલા બાળકો પૈકી એક બાળકનું શંકાસ્પદ મોત થયું હોવાના અહેવાલ છે, જ્યારે અન્ય બે બાળકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં જ વધુ 18 બાળકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તંત્રની ઘોર બેદરકારી: પાલિકાને 30 ડિસેમ્બરે જ કરાઈ હતી જાણ
આ આખી ઘટનામાં તંત્રની ગુનાહિત બેદરકારી સામે આવી છે. આરોગ્ય વિભાગે 30 ડિસેમ્બરના રોજ જ ગાંધીનગર મહાનગરપાલિકાને લેખિતમાં જાણ કરી હતી કે શહેરમાં પાણીજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે. તેમ છતાં, પાલિકા તંત્ર ઘોર નિદ્રામાં રહ્યું અને કોઈ નક્કર પગલાં ન લેવાયા, જેનું પરિણામ આજે ગાંધીનગરની જનતા ભોગવી રહી છે.
19થી 20 જગ્યાએ પાણીની લાઇનમાં લીકેજ
તપાસમાં સામે આવ્યું છે કે પાટનગરના વિવિધ વિસ્તારોમાં અંદાજે 19થી 20 જેટલી જગ્યાએ પીવાના પાણીની લાઇનમાં લીકેજ છે. આ લીકેજને કારણે ગટરનું ગંદુ પાણી પીવાની લાઇનમાં ભળી રહ્યું છે, જેના કારણે ટાઇફોઇડના કેસોમાં વિસ્ફોટક ઉછાળો આવ્યો છે. જો પાલિકાએ સમયસર આ લીકેજ બંધ કર્યા હોત, તો આજે સ્થિતિ આટલી ગંભીર ન હોત.
આ પણ વાંચો: બગદાણા કેસમાં SITની રચના: પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા સહિતના નેતાઓની ગાંધીનગરમાં રજૂઆત બાદ આદેશ
હૉસ્પિટલની સ્થિતિ અને ડિસ્ચાર્જ
સિવિલ હૉસ્પિટલમાં હાલ યુદ્ધના ધોરણે સારવાર ચાલી રહી છે. અત્યાર સુધીમાં 89 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે, પરંતુ નવા કેસો આવવાનું સતત ચાલુ હોવાથી તબીબો પર પણ ભારણ વધ્યું છે. હૉસ્પિટલ તંત્ર દ્વારા બાળકો માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.










