નસવાડી તાલુકાના કડુલી-મહુડી ગામ તથા છોટાઉદેપુર જિલ્લાના ગૌરવરૂપ સંદીપ જયસ્વાલની પસંદગી સ્વિટ્ઝરલૅન્ડમાં યોજાનારા વર્લ્ડ આર્ચરી કોર્ષ માટે કરવામાં આવી છે.
૧૪ માર્ચથી ૨૧ માર્ચ 2026 દરમિયાન સ્વિટ્ઝરલૅન્ડમાં યોજાનારા આ પ્રતિષ્ઠિત કોર્સ માટે ભારતમાંથી પસંદગી પ્રક્રિયા Archery Association of India દ્વારા લેવામાં આવેલી કઠિન પરીક્ષાના આધારે કરવામાં આવી હતી.
દેશભરના ૫૦૦ થી વધુ ઉમેદવારોમાંથી માત્ર 26 ઉમેદવારો જ પરીક્ષા પાસ કરી શક્યા હતા, જેમાં સંદીપ જયસ્વાલનો સમાવેશ થયો છે. ખાસ ગૌરવની બાબત એ છે કે ગુજરાત રાજ્યમાંથી પસંદગી મેળવનારા તેઓ એકમાત્ર પ્રતિનિધિ છે અને ગુજરાતમાંથી પ્રથમવાર આ પ્રતિષ્ઠિત વર્લ્ડ આર્ચરી કોર્સ માટે પસંદગી પામનાર વ્યક્તિ બન્યા છે.
આ સિદ્ધિ માત્ર તેમના પરિવાર માટે જ નહીં પરંતુ કડુલી-મહુડી ગામ, નસવાડી તાલુકા, છોટાઉદેપુર જિલ્લા અને સમગ્ર ગુજરાત રાજ્ય માટે ગૌરવની બાબત બની છે.
તેમની આ ઉપલબ્ધિ બદલ વિવિધ સામાજિક, શૈક્ષણિક અને રમતગમત સંસ્થાઓ દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.
સંદીપ જયસ્વાલની આ આંતરરાષ્ટ્રીય પસંદગીથી ગુજરાતમાં આર્ચરી ક્ષેત્રે નવી પ્રેરણા અને ઉત્સાહનો સંચાર થયો છે.
અગાઉ પણ સંદીપ જયસ્વાલ બેંગકોક ખાતે યોજાયેલ આર્ચરી એશિયા કપમાં ભારત ટીમના કોચ તરીકે ભૂમિકા ભજવી ચૂક્યા છે અને તે દરમિયાન ભારતને અનેક મેડલ અપાવી ચૂક્યા છે જે બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
રિપોટર પ્રહલાદ પુજારી અંબાજી










