Chipko Movement in Chhota Udepur: પર્યાવરણના રક્ષણ માટે વિશ્વભરમાં જાણીતા ‘ચિપકો આંદોલન’ સાથે છોટા ઉદેપુર જિલ્લાનો પણ એક અતૂટ ઇતિહાસ જોડાયેલો છે. 26મી માર્ચ 1974ના રોજ ઉત્તરાખંડમાં શરૂ થયેલા આ ઐતિહાસિક આંદોલનની લહેર છોટા ઉદેપુરના નાલેજ અને પીપલેજના જંગલો સુધી પહોંચી હતી. આ આંદોલનના ફળસ્વરૂપે જ આજે (26મી માર્ચ) આદિવાસીઓ માટે ‘કલ્પવૃક્ષ’ સમાન લાખો મહુડાના વૃક્ષો અડીખમ ઊભા છે.

જ્યારે આદિવાસી મહિલાઓ વૃક્ષોને ‘ચીપકી’ ગઈ હતી
વર્ષ 1970ના દાયકામાં સરકાર દ્વારા એવું માનીને મહુડાના વૃક્ષો કાપવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો કે તેમાંથી માત્ર દારૂ બને છે. તે સમયે સુંદરલાલ બહુગુણાની આગેવાનીમાં શરૂ થયેલા રાષ્ટ્રીય ચિપકો આંદોલનની અસર છોટા ઉદેપુરના જંગલોમાં પણ જોવા મળી હતી. પૂર્વ નાણામંત્રી સ્વ. સનત મહેતા અને સ્વ. હરિવલ્લભ પરીખની આગેવાનીમાં સ્થાનિક આદિવાસી મહિલાઓએ નાલેજ પીપલેજના જંગલોમાં વૃક્ષોને બચાવવા વૃક્ષોને ચીપકીને ‘ચિપકો’ આંદોલન કર્યું હતું. આ સત્યાગ્રહને કારણે સરકારને મહુડા કાપવાનો નિર્ણય પડતો મૂકવો પડ્યો હતો.

આ પણ વાંચો: છોટા ઉદેપુર: સરકારી ઉદાસીનતાને કારણે 20 પશુ એમ્બ્યુલન્સ 8 મહિનાથી ધૂળ ખાઈ રહી છે, પશુપાલકો બેહાલ
આદિવાસીઓનું ‘કલ્પવૃક્ષ’ અને પિતાતુલ્ય આશ્રય
આદિવાસી સંસ્કૃતિમાં મહુડાને પિતાતુલ્ય અને કલ્પવૃક્ષ માનવામાં આવે છે. તેના મહત્ત્વ પાછળ અનેક કારણો જવાબદાર છે: આજે આદિવાસી પરિવારો મહુડાના ફૂલ અને ફળ (ડોળી) વેચીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. મહુડાના ફૂલમાંથી પૌષ્ટિક લાડુ બનાવવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાય છે. મહુડાના ફળમાંથી શુદ્ધ તેલ કાઢવામાં આવે છે, જેનો ઉપયોગ રસોઈમાં થાય છે. આ વૃક્ષો પુષ્કળ ઓક્સિજન આપે છે અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં શીતળ છાયડો પૂરો પાડે છે.

આંદોલનનો ઇતિહાસ
આંદોલનનું મૂળ કેન્દ્ર ઉત્તરાખંડના ચમોલી જિલ્લાનું રેની ગામ હતું, પરંતુ આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટા ઉદેપુર જિલ્લામાં આંદોલનની સફળતા આજે પણ નજરે પડે છે. જો તે સમયે નાલેજ પીપલેજના જંગલોમાં મહિલાઓએ આ સાહસ ન કર્યું હોત, તો આજે આ વિસ્તાર વૃક્ષવિહોણો હોત. 26મી માર્ચે જ્યારે આપણે આ ઐતિહાસિક દિવસની યાદ કરીએ છીએ, ત્યારે છોટા ઉદેપુરના જંગલોમાં લહેરાતા મહુડાના વૃક્ષો એ આદિવાસીઓના પર્યાવરણ પ્રત્યેના પ્રેમ અને બલિદાનની સાક્ષી પૂરી રહ્યા છે.










