Green Gujarat Target : ગુજરાત સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં વન સંરક્ષણ અને વાવેતરની દિશામાં નોંધપાત્ર પ્રયાસો કર્યા છે, પરંતુ ભારતના વન સર્વેક્ષણ (FSI)ના સત્તાવાર ડેટા અને રાષ્ટ્રીય વન નીતિના માપદંડો દર્શાવે છે કે, રાજ્ય હજુ પણ હરિયાળીના લક્ષ્યાંકથી ઘણું પાછળ છે. સરકારી પ્રયાસો સરાહનીય હોવા છતાં, રાષ્ટ્રીય ધોરણોને આંબવા માટે ગુજરાતને 42,340 ચોરસ કિલોમીટર (Sq. km)ગ્રીન કવરની જરૂર છે.
ગ્રીન કવરની વાસ્તવિકતા: લક્ષ્યાંક અને વર્તમાન સ્થિતિ
રાષ્ટ્રીય વન નીતિ (1988) મુજબ, કોઈપણ રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના ઓછામાં ઓછા 33% વિસ્તારમાં વન અને વૃક્ષ આવરણ હોવું ફરજિયાત છે.
ગુજરાતનો કુલ ભૌગોલિક વિસ્તાર: 1,96,024 Sq. km
રાષ્ટ્રીય લક્ષ્યાંક મુજબ જરૂરી કવર (33%): 64,688 Sq. km
વર્તમાન કુલ ગ્રીન કવર (ISFR 2021 મુજબ) 22,348 Sq. km (જે કુલ વિસ્તારના માત્ર 11.40% છે.)
ગ્રીન કવરની મોટી ઘટ: 42,340 Sq. km
સરકાર દ્વારા મોટાપાયે વાવેતર થયું હોવા છતાં, જમીની સ્તરે વાસ્તવિક ગ્રીન કવરનો વિસ્તાર રાષ્ટ્રીય ધોરણના એક તૃતીયાંશ જેટલો પણ નથી. આના પરથી સ્પષ્ટ થાય છે કે ગ્રીન કવરને નુકસાન થવાની ઝડપ અને રાષ્ટ્રીય લક્ષ્યાંકની જરૂરિયાત સામે, સરકારી પ્રયાસોની અસરકારકતાને વધુ વધારવી પડશે.

સરકારી પ્રયાસોના છેલ્લા 3 વર્ષ આંકડા
ગુજરાત સરકારે જંગલ અને વન બહારના વિસ્તારોમાં વાવેતર વધારવા માટે નોંધપાત્ર રકમ અને માનવબળનો ઉપયોગ કર્યો છે.
કુલ વન વિસ્તાર વાવેતર: 1,04,270 હેક્ટર
સામાજિક વનીકરણ યોજના (બહારના વિસ્તારોમાં) : 10,213 હેક્ટર
ખેડૂતો દ્વારા થયેલું વાવેતર: 1,09,425.60 હેક્ટર
કુલ વાવેતર (અંદાજિત): 2,23,908.60 હેક્ટર (જે આશરે 2,239 Sq. km થાય છે.)

પર્યાવરણ સંરક્ષણ માટે અન્ય પ્રયાસો
મિષ્ટી યોજના (મેન્ગ્રુવ્સ): દરિયાકાંઠાના પર્યાવરણ સંરક્ષણ માટે 34,242 હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રુવનું વાવેતર કરવામાં આવ્યું છે.
કચ્છનું બન્ની ઘાસ વાવેતર: પશુપાલકો માટે ઘાસચારાનું પુન:સ્થાપન કરવા 5,000 હેક્ટર વિસ્તારમાં ઘાસ વાવેતર થયું.
આદિવાસી સમુદાયોને વિતરણ: વન આધારિત જીવનને ટેકો આપવા કુલ 158 લાખ વાંસનું વિતરણ કરવામાં આવ્યું છે.
ગ્રીન કવરમાં થયો વધારો, છતાં અંતર મોટું
ISFR 2017 અને ISFR 2021ના રિપોર્ટની તુલના દર્શાવે છે કે આ સમયગાળા દરમિયાન ગુજરાતના કુલ ગ્રીન કવરમાં 422 Sq. km નો ચોખ્ખો વધારો નોંધાયો છે. આ વધારો સૂચવે છે કે સરકારી અને ખાનગી વાવેતરની કામગીરી ગ્રીન કવરના નુકસાનની ભરપાઈ કરી રહી છે અને વધુ હરિયાળી ઉમેરી રહી છે.

જોકે, નિષ્ણાતો માને છે કે માત્ર આંકડાકીય વધારો પૂરતો નથી. આબોહવા પરિવર્તન (Climate Change) અને જૈવવિવિધતાના પડકારોને પહોંચી વળવા માટે 33% નું લક્ષ્ય હાંસલ કરવું અનિવાર્ય છે. રૂ. 3,140 કરોડનું બજેટ પર્યાવરણ સંરક્ષણ માટે ફાળવવામાં આવ્યું છે, પરંતુ આ ભંડોળનો ઉપયોગ ઝડપથી અને અસરકારક રીતે કરીને આગામી દાયકામાં ગ્રીન કવરની આ મોટી ઘટને પૂરવા માટે વધુ નક્કર અને મોટા પાયાના પ્રોજેક્ટ્સની જરૂર છે.
ગ્રીન કવર લક્ષ્યાંકથી પાછળ રહેવાના કારણો
ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણ
ગુજરાત ભારતનું એક મુખ્ય ઔદ્યોગિક રાજ્ય છે. ઔદ્યોગિક કોરિડોર, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZs) અને બંદરોના વિકાસ માટે મોટા પાયે જમીન પરિવર્તિત થાય છે. આ પ્રવૃત્તિઓ કુદરતી વન આવરણને નુકસાન પહોંચાડે છે.
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોનો ઝડપી વિકાસ થવાને કારણે બાંધકામ પ્રવૃત્તિઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ (રોડ, રેલવે) માટે વૃક્ષો કાપવા પડે છે.
જમીનનો ઉપયોગ અને કૃષિ સંબંધિત મુદ્દાઓ
જંગલ બહારનું વૃક્ષ આવરણ: ગુજરાતમાં મોટાભાગનો ગ્રીન કવરનો વધારો ખેતરો અને ખાનગી જમીનો પર થયો છે. જોકે, ખેડૂતો આર્થિક ફાયદા માટે ઝડપથી વિકસતા અને કાપણી કરી શકાય તેવા વૃક્ષો (જેમ કે નીલગિરી)નું વાવેતર કરે છે, જે કુદરતી જંગલોની જૈવવિવિધતા જેટલું સમૃદ્ધ હોતું નથી.
પશુધન અને ચરિયાણ: ગુજરાતમાં પશુધનનું પ્રમાણ ઊંચું છે. અનિયંત્રિત રીતે થતી ચરાઈ એટેલે કે ઘરેલું પશુધનને બહાર મુક્ત રીતે ફરવા-ચરવાની છૂટ હોય છે. જેથી નવા વાવેલા છોડ અને કુદરતી રીતે ઉગતા નાના રોપાઓને ટકવા દેતું નથી.
નીતિ અને અમલીકરણ સંબંધિત પડકારો
સરકારી આંકડા ભલે મોટા પાયે વાવેતર દર્શાવતા હોય, પરંતુ વાસ્તવમાં રોપાઓનો ટકાઉ દર (Survival Rate) ઓછો હોય છે. વાવેતર પછી તેની યોગ્ય જાળવણી (સિંચાઈ, વાડ, રક્ષણ) ન થવાથી મોટા ભાગના રોપાઓ સમય જતાં નાશ પામે છે. જંગલ વિસ્તાર બહારનું ગ્રીન કવર વધારવા માટે સરકારે સામાજિક વનીકરણ પર વધુ ધ્યાન આપવું પડે છે, જેમાં લોકોનો સહયોગ અનિવાર્ય છે.
આ પણ વાંચો: રાજ્યની 14 સરકારી હોસ્પિટલોમાં બનશે વિશ્રામગૃહ, દર્દીઓના સગા-સંબંધીઓ માટે રહેવા-જમવાની હશે સુવિધા
ગુજરાતની વિકાસની ગતિ અને ભૌગોલિક મર્યાદાઓ એ બે મુખ્ય પરિબળો છે, જે ગ્રીન કવરના લક્ષ્યાંકને હાંસલ કરવાના માર્ગમાં મોટા પડકારો ઊભા કરે છે. માત્ર વાવેતરના આંકડા વધારવાને બદલે, વૃક્ષોના ટકાવ દર અને ગાઢ જંગલોના વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે.










