![]()
પિરણીતાની છેડતી અને સસરા સાથે મારામારી મામલે કપુરાઈ પોલીસે કૌટુંબિક જેઠ સામે ગુનો નોંધ્યો છે.
શહેરના દક્ષિણ વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષની પરિણીતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, ગઈકાલે તા. ૨૦ મેના રોજ બપોરે ૧૨ વાગ્યે તે ઘરે એકલી હતી. તે દરમિયાન તેના બ્લોકમાં રહેતો કૌટુંબિક જેઠ ભરત ઉર્ફે યોગેશ મહેન્દ્રભાઈ સોલંકી ઘરે આવ્યો હતો અને પાણી માગ્યું હતું. પરિણીતાએ પાણીનો ગ્લાસ આપતા આરોપીએ અચાનક તેનો હાથ પકડી લીધો હતો અને તેની સાથે મિત્રતા રાખવા દબાણ કર્યું હતું.
પિરણીતાએ બૂમાબૂમ કરતા આરોપીએ તેનું મોંઢુ દબાવી દીધું હતું અને ઘરના દરવાજા બંધ કરી દીધા હતા. ત્યારબાદ તેને અંદરના રૂમમાં લઈ જઈ શારીરિક અડપલાં કર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ દરમિયાન પરિણીતાના સસરાએ દરવાજો ખખડાવતા ભરત સોલંકી ઘરની બાલ્કનીમાંથી નાસી છૂટ્યો હતો.
બાદમાં આરોપી ઘર નજીક ઊભો હોઈ પરિણીતાના સસરા તેને સમજાવવા ગયા હતા. તે વખતે આરોપીએ તેમની સાથે ઝઘડો કરી મારામારી કરી હતી. પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે ભરત વિરુદ્ધ છેડતી તથા મારામારીનો ગુનો નોંધ્યો છે.










