![]()
– કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ટીકર રણકાંઠા નજીક
– વન વિભાગે નોટિસ જારી કરી 14 શખ્સને 7 દિવસમાં દબાણો દૂર કરવા અલ્ટીમેટમ આપ્યું
હળવદ : કચ્છના નાના રણ તરીકે ઓળખાતા હળવદના ટીકર રણકાંઠા વિસ્તારમાં ઘુડખર અભયારણ્યની સુરક્ષા અને લુપ્ત થતી પ્રજાતિના સંરક્ષણ માટે ગેરકાયદે મીઠાના પાળા અને પ્લોટો પર વનવિભાગ દ્વારા કરાર્યવાહી કરવામાં આવી છે. આરએફઓએ ૧૪ શખ્સોને ૭ દિવસમાં દબાણો દૂર કરવા અલ્ટીમેટમ આપ્યું છે.
હળવદ વન વિભાગના આર.એફ.ઓ. કે.એમ. કરમટા દ્વારા ટીકર રણકાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ કરનાર ૧૪ ઈસમોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસમાં જમીન માલિકીની હોય તો ૭ દિવસમાં આધાર પુરાવા રજૂ કરવા, અન્યથા સરકારી જમીન પરથી સ્વૈચ્છિક રીતે દબાણો હટાવી લેવા જણાવાયું છે.
વનવિભાગના જણાવ્યા અનુસાર, જો નિર્ધારિત સમયમાં દબાણો દૂર કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં તંત્ર દ્વારા જેસીબી સહિતના સાધનો સાથે દબાણ હટાવવાની કડક ઝુંબેશ શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છેકે લુપ્ત થતી પ્રજાતિ એવા રક્ષિત ‘ઘુડખર’ના સંરક્ષણ માટે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. અભયારણ્યની બોર્ડર કે તેની નજીકની જમીન પર થતા અતિક્રમણને કારણે વન્યજીવોના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે.










