![]()
વડોદરા,મંગળવાર : અગ્રસેન ભવન પાસેથી ચરસ સહિતના ૭ લાખના જથ્થા સાથે ઝડપાઇ
ગયેલા બે આરોપીને એનડીપીએસ એક્ટ હેઠળ કસુરદાર ઠેરવી ન્યાયાધીશે બન્ને આરોપીને ૧૪
વર્ષની સખ્ત કેદ તેમજ ૨ લાખનો દંડ ફટકાર્યો હતો. આરોપીઓ જો દંડની રકમ ન ભરે તો
વધુ એક વર્ષની સાદી કેદની સજાનો ન્યાયાધીશે આદેશ કર્યો હતો.
કેસની વિગત એવી છે કે, પોલીસને બાતમી મળી હતી કે, અગ્રેસન ભવન પાસે વી માર્ટની ગલીમાં જાહેરમાં કેટલાક શખ્સ ચરસનું વેંચાણ
કરે છે એટલે પોલીસે વોંચ ગોઠવી આરોપી શાહનવાઝ ઉર્ફે શાનુ સલીમભાઇ શેખ
(રહે.યાકુતપુરા)ને રૃા.૩ લાખની કિંમતના ૨૦૫૫ ગ્રામ ચરસના જથ્થા સાથે ઝડપી પાડયો
હતો. જ્યારે અઝીમુદ્દીન અહમદ અન્સારી (રહે.ડુમરાગામ, જામ્બુવા)ને ૧.૫૩ લાખની કિંમતના ૧૦૨૪ ગ્રામ ચરસના જથ્થા સાથે જડપી પાડયો હતો.
બન્ને આરોપીની પૂછપરછમાં ચરસ ખરીદ વેંચવાના બનાવમાં તેમજ તેને સંતાડવામાં સંતોષકુમાર, ઇસ્માઇલ,
અર્ચના અને ગુલમરસુલના નામો સપાટી પર આવતા પોલીસે તમામ છ આરોપી સામે
ગુનો દાખલ કર્યો હતો. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા ન્યાયાધીશે આરોપી શાહનવાઝ
ઉર્ફે શાનુ શેખ અને અઝીમુદ્દીન અહમદ અન્સારીને ગુનામાં કસુરદાર ઠેરવી ૧૪ વર્ષની
સજાનો આદેશ કર્યો હતો અને અન્ય તમામ આરોપીને છોડી મુક્યા હતા. ચૂકાદા સમયે આરોપી શાહનવાઝ
હાજર ન હોઇ તેની સામે ધરપકડ વોરંટ કાઢવાનો
ન્યાયાધીશે આદેશ કર્યો હતો.










