![]()
દહેગામ નરોડા હાઇવે ઉપર સોનારડા ગામ પાસે
અમદાવાદનો યુવાન ગામમાં દર્શન કરવા માટે આવ્યો હતો ઃ ડભોડા પોલીસે ચાલક સામે ગુનો દાખલ કર્યો
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક દેહગામ નરોડા હાઇવે ઉપર ગામમાં ચૈત્રી
નવરાત્રી નિમિત્તે દર્શન કરીને પરત જઈ રહેલા અમદાવાદના બાઇક સવાર યુવાનને સોનારડા
ગામ પાસે જેસીબીના ચાલકે કચડતા ગંભીર ઇજાઓને કારણે તેનું સ્થળ ઉપર જ મોત થયું
હતું. જે અંગે ડભોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી
રહી છે ત્યારે શહેર નજીક દહેગામ નરોડા હાઇવે ઉપર વધુ એક અકસ્માતમાં યુવાનનું મોત
થયું છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના
નારણપુરામાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા હિરેનભાઈ બંસીભાઈ દત્ત ચૈત્રી
નવરાત્રિના પ્રથમ નોરતા નિમિત્તે દહેગામ ખાતે તેમના વતનમાં આવેલ વિસત માતાના
મંદિરે દર્શન કરવા આવ્યા હતા. દર્શન કરીને સાંજના સમયે તેઓ પોતાની મોટરસાયકલ લઈને
પરત અમદાવાદ જઈ રહ્યા હતા. તે દરમિયાન સોનારડા ગામના પાટીયા પાસે મિનરલ વોટરની
કંપની તરફથી આવી રહેલા એક નવા નંબર પ્લેટ વગરના જેસીબીના ચાલકે હિરેનભાઈની બાઈકને
જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે હિરેનભાઈ રોડ પર ફંગોળાયા હતા
અને તેમને છાતી તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ થયું હતું.
જેના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેમની પાસે રહેલા મોબાઇલના આધારે
પરિવારજનોને જાણ કરી હતી. આ ઘટના અંગે મૃતકના ભાઈ નયનભાઈ બંસીભાઈ દંતાણીએ ડભોડા
પોલીસ સ્ટેશનમાં અજાણ્યા જેસીબી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.










