![]()
Twin Tragedies in MP & Chhattisgarh: મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાંથી હૃદય કંપાવી દેનારી બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. એમપીના સીધીમાં શોર્ટ સર્કિટના કારણે કાચા મકાનમાં લાગેલી ભીષણ આગમાં ત્રણ નિર્દોષ સગાં ભાઈ-બહેન જીવતાં ભૂંજાઈ ગયાં છે, જ્યારે છત્તીસગઢના દુર્ગમાં આર્થિક તંગી અને પારિવારિક વિવાદના કારણે માતા-પિતાએ બે માસૂમ બાળકોની હત્યા કરી પોતે ગળેફાંસો ખાઈ સામૂહિક આત્મહત્યા કરી લીધી છે.
મધ્ય પ્રદેશમાં 3 બાળકો જીવતાં સળગી ગયાં
મધ્ય પ્રદેશના સીધી જિલ્લાના જમોડી ક્ષેત્રમાં આવેલા કાશીહવા ગામમાં શનિવારે બપોરે એક અત્યંત હૃદયવિદારક ઘટના ઘટી હતી. અહીં એક કાચા મકાનમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટના સમયે દોઢ વર્ષનો ઋદ્ધિ, છ વર્ષની સંધ્યા અને ત્રણ વર્ષનો નાગેન્દ્ર સાકેત નામના ત્રણ સગાં ભાઈ-બહેન ઘરની અંદર હતાં. બાળકોની માતા રેશન લેવા દુકાને ગઈ હતી અને પિતા રામરતન સાકેત મજૂરી કામ માટે સીધી શહેર ગયા હતા. માતા બહાર જતી વખતે ઘરનો દરવાજો આગળથી બંધ કરીને ગઈ હોવાથી, આગ લાગ્યા બાદ માસૂમ બાળકો બહાર નીકળી શક્યાં નહોતાં અને અંદર જ જીવતાં ભૂંજાઈ ગયાં હતાં. ગ્રામજનોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો પણ બાળકો બચી શક્યાં નહીં.
મુખ્યમંત્રી અને પ્રશાસન દ્વારા મદદની જાહેરાત
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી પરિવારને કુલ 18 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. જેમાં રાજ્ય સરકાર તરફથી પ્રતિ બાળક 2-2 લાખ રૂપિયા (કુલ 6 લાખ) અને એમપી પૂર્વ ક્ષેત્ર વિદ્યુત વિતરણ કંપની તરફથી 4-4 લાખ રૂપિયા (કુલ 12 લાખ) ની રાહત રાશિ અપાશે. આ ઉપરાંત જિલ્લા પ્રશાસન અને રેડક્રોસ સોસાયટી દ્વારા તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવી છે.
છત્તીસગઢમાં આર્થિક તંગી અને ઝઘડામાં આખા પરિવારે દુનિયા છોડી
બીજી તરફ, છત્તીસગઢના દુર્ગ જિલ્લાના મોહન નગર થાણા વિસ્તારના આર્ય નગરમાંથી એક ચોંકાવનારો સામૂહિક આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. અહીં શુક્રવારે સવારે એક જ ઘરના બંધ રૂમમાંથી પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે. મૃતકોની ઓળખ ગોવિંદ સાહૂ (45), તેની પત્ની ચંચલ સાહૂ (40), પુત્રી દૃષ્ણા (13) અને પુત્ર યશાંત (11) તરીકે થઈ છે. પોલીસ તપાસ અનુસાર, સવારે જ્યારે રૂમનો દરવાજો ન ખુલ્યો ત્યારે ગોવિંદની માતાએ બારીમાંથી અંદર જોતાં આ ભયાનક દ્રશ્ય સામે આવ્યું હતું. ગોવિંદ અને ચંચલના મૃતદેહ અલગ-અલગ રૂમમાં ફાંસીના ફંદે લટકેલા હતા, જ્યારે બંને સગીર બાળકોના મૃતદેહ બેડ પર પડ્યા હતા.
સુસાઇડ નોટમાં આર્થિક તંગીનો ઉલ્લેખ
ઘટનાસ્થળેથી પોલીસને એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં પત્ની ચંચલ સાહૂએ પતિ સાથેના પારિવારિક વિવાદ, કલેશ અને આર્થિક તંગીનો ઉલ્લેખ કર્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ માતા-પિતાએ પહેલાં બાળકોની હત્યા કરી અને બાદમાં પોતે આપઘાત કર્યો હોવાની આશંકા છે. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.










