![]()
Chhota Udepur News: છોટાઉદેપુર જિલ્લાના ઘણાં ગામડાંઓમાં રોડ-રસ્તા અને પાણી સંબંધિત સમસ્યાના કારણે સ્થાનિકોને હાલાકી પડતી હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. છોટાઉદેપુર તાલુકાના ઓલીઆંબા, નાલેજ, પાદરવાંટ જેવા અનેક ગામોમાં સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોના ખેતરોમાં આવેલા પાણીના કુવાના જળસ્તર નીચા જતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ખેતી માટે પાણી મેળવવા માટે ખેડૂતો દ્વારા કુવા ઊંડા કરવામાં આવી રહ્યા છે.
તળાવ છલોછલ પણ કેનાલો તૂટેલી!
મળતી માહિતી મુજબ, છોટાઉદેપુર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા નાલેજ ગામે તળાવમાં પાણી પૂરું પાડવામાં આવે છે. હાલ તો તળાવ છલોછલ છે, પરંતુ ખેડૂતોના ખેતરો નજીક પાણી પૂરું પાડવામાં આવતી કેનાલો જર્જરિત હાલતમાં હોવાથી પાણી પહોંચાડી શકાતું નથી. આ પરિસ્થિતિ વચ્ચે પાણીના સ્ત્રોત તરીકે કુવા આધારિત ખેતી કરતાં ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતાં તેઓ ચિંતામાં મૂકાયા છે.
સિંચાઈ માટે ખેડૂતોને કુવા ઊંડા કરવાની નોબત આવી
ઉનાળાની કાળઝાળ ગરમીની સ્થિતિમાં કુવામાં પાણીના જળસ્તર નીચા જવા માંડે છે. આ દરમિયાન ઉનાળુ પાકને પૂરતા પ્રમાણમાં પાણી ન મળતાં ખેડૂતોને મોલ સુકાઈ જવાનો ડર ઉભો થાય છે. તેવામાં ખેતી માટે એકમાત્ર સહારા સમાન કુવાના જળસ્તર નીચે જતાં ખેડૂતોને કુવા ઊંડ કરવાની ફરજ પડી રહી છે.
આ પણ વાંચો: પંચમહાલમાં ખનીજ માફિયાઓનો આતંક: કાલોલમાં રેતી ચોરી પકડવા ગયેલી ખાણ-ખનીજની ટીમ પર જીવલેણ હુમલો
સિંચાઈ વિભાગ કેનાલોની મરામત ન કરતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ
ખેડૂતોનો આક્ષેપ છે કે, છોટાઉદેપુર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ કેનાલોની મરામત કરતું નથી. વર્ષોથી કેનાલો બિસ્માર હાલતમાં છે, જેના કારણે ખેડૂતો સુધી પાણી પહોંચતું નથી. આ બધા વચ્ચે ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખાં મારી રહ્યા છે.
આ મામલે સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, કેનાલ રિપેરિંગની કામગીરી કરવા સરકારમાં મંજૂરી માટે મોકલ્યું છે. આમ, મંજૂરી મળ્યા બાદ કેનાલ રિપેરિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.










