Jammu And Kashmir Terrerists Encounter: જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેક્ટરમાં સુરક્ષા દળોએ નિયંત્રણ રેખા (એલઓસી) નજીક ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદીઓના ઢીમ ઢાળી દીધા છે. સેનાએ બે આતંકવાદીને ઠાર કર્યા છે. શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પોસ્ટ મારફત આ અંગે જાણકારી આપી હતી.
સોશિયલ મીડિયા X પર જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા આપવામાં આવેલી ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે ગુરેજ સેક્ટરમાં એક સંયુક્ત અભિયાન શરૂ કર્યું હતું. જેમાં ઘુસણખોરોના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. જેના જવાબમાં આતંકવાદીઓએ અંધાધૂધ ગોળીબાર શરૂ કર્યો હતો. જેમાં બે આતંકવાદી ઠાર થયા હતા. આ વિસ્તારમાં હજુ સર્ચ ઓપરેશન ચાલુ છે.
ઘૂસણખોરીનો બીજો પ્રયાસ નિષ્ફળ કરાયો
તાજેતરના દિવસોમાં ભારતીય સેના દ્વારા ઘૂસણખોરીનો બીજો પ્રયાસ નિષ્ફળ કરાયો છે. ત્રણ દિવસ પહેલાં બારામૂલા જિલ્લાના ઉરી સેક્ટરમાં સેના દ્વારા એલઓસી નજીક કંઈક હલચલ થઈ રહી હોવાના અહેવાલ મળ્યા હતા. 13 ઓગસ્ટે આ સેક્ટરમાં જ ગોળીબાર દરમિયાન એક જવાન શહીદ થયા હતા.











