![]()
Dakor Padyatra: ફાગણી પૂનમ નિમિો અમદાવાદથી ડાકોર સુધીની યોજાતી પ્રસિદ્ધ પદયાત્રાનો ગુરુવાર (26મી ફેબ્રુઆરી)થી પ્રારંભ થશે. જય રણછોડના ગગનભેદી નાદ સાથે મોટી સંખ્યામાં યાત્રિકો કાળિયા ઠાકરના ચરણોમાં શિશ ઝુકાવવા માટે પગપાળા રવાના થશે. જેના પગલે આગામી દિવસોમાં સમગ્ર ભક્તિપથ ભજન, ભંડારા અને ભક્તિના ત્રિવેણી સંગમથી જાણે કે જીવંત બની જશે.
180થી વધુ નાના-મોટા સેવાકેમ્પ 60 કિ.મી.ના માર્ગ પર ધમધમી ઉઠશે
ડાકોરમાં ધુળેટીના દિવસે યોજાતા ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે અમદાવાદથી હજારો લોકો આસ્થાભેર પગપાળા ચાલીને જાય છે. આ પ્રસિદ્ધ પદયાત્રાનો ગુરુવારથી ધીમે ધીમે પ્રારંભ થઈ જશે. સામાન્ય રીતે એક વ્યક્તિને ચાલીને ડાકોર પહોંચવામાં સરેરાશ ત્રણેક દિવસનો સમય લાગે છે. આ ગણતરી અનુસાર સોમવારે ડાકોર પહોંચી જવાય તેવી રીતે યાત્રિકો અમદાવાદથી પદયાત્રા શરૂ કરતા હોય છે.
આ પણ વાંચો: મને મોડી રાતે ફોન કરીને ડેપ્યુટી CMએ મા ભદ્રકાળીની નગરયાત્રામાં નહીં આવે એવું કહ્યું: ટ્રસ્ટી, મેયરને પૂછતાં એમણે પણ ચાલતી પકડી
સૂત્રોના જણાવ્યાનુસાર આશરે 60 કિ.મીના આ માર્ગ પર પદયાત્રિકોને ચા-નાસ્તો, ભોજન અને ઠંડાપીણા પિરસતા તેમજ પગની તેલ માલીશ તથા મેડિકલ સારવાર કરી આપતા નાના-મોટા 180થી વધારે સેવા કેમ્પ યોજાશે. જેમાં સેંકડો સ્વયંસેવકો પહોંચી ગયા છે. ભંડારામાં યાત્રિકોને ફાડા લાપસી, ચુરમાના લાડુ, પુરી-શાક, રોટલી, દાળ-ભાત, ઢોકળા, પાઉં-ભાજી, બટેટાવડા, ફૂલવડી, ફરાળી સૂકી ભાજી, મોરૈયો, ચેવડો વગેરે વ્યંજનો પિરસવામાં આવશે. આ સેવા કેમ્પ સિવાય અનેક એકલ-દોકલ લોકો ઠંડાપીણા, નાળિયેર પાણી વગેરે વસ્તુઓનું વિતરણ કરવા ભક્તિપથ પર પહોંચી જશે. અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાંથી પદયાત્રા માટે નિકળતા સંઘો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.










