![]()
સમર્થકોને જયશ્રી રામના નારા લગાવતા બંગાળના મુખ્યમંત્રીએ રોક્યા
હું પોતે પણ કોઇ વિવાદિત ટિપ્પણી નહીં કરું, બંગાળનું પહેલા જ બહુ નુકસાન થઇ ચુક્યું છે, હવે વિકાસ કરીએ : સુવેંદુ
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં શુભેંદુ અધિકારીએ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા, તેઓ હાલ વિવિધ કાર્યક્રમોમાં સામેલ થઇ રહ્યા છે. આ દરમિયાન તેઓ રવીન્દ્રનાથ ટાગોરના પૈતૃક આવાસ જોરાસાંકો ઠાકુરબાડી પહોંચ્યા હતા, જે દરમિયાન સમર્થકો દ્વારા જયશ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા. જેને પગલે સુવેંદુ અધિકારીએ તેમને રોક્યા હતા અને જય શ્રી રામના નારા ના લગાવવા કહ્યું હતું.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન સુવેંદુ અધિકારી અનેક વખત સ્ટેજ પરથી કે સભાઓમાં જય શ્રી રામના નારા લગાવતા જોવા મળ્યા હતા. હવે જ્યારે ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે અને ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે સુવેંદુ અધિકારીની હાજરીમાં કેટલાક ભાજપ સમર્થકો દ્વારા જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા, જેને પગલે સુવેંદુ અધિકારીએ તેમને રોક્યા હતા. અને આવા નારા હવે ના લગાવવા કહ્યું હતું. જ્યારે જય શ્રી રામના નારા લાગ્યા ત્યારે સુવેંદુ અધિકારી રવીન્દ્રનાથ ટાગોરના ઠાકુરબાડીમાં હતા, તેથી સુવેંદુએ સમર્થકોને રોકતા કહ્યું હતું કે જય શ્રી રામના નારા બોલવા માટેની આ જગ્યા નથી. અહીંયા માત્ર કવિગુરુનું નામ લેવામાં આવે છે.
સુવેંદુએ વધુમાં કહ્યું હતું કે હું પોતે પણ હવે કોઇ વિવાદિત ટિપ્પણી નહી કરું કેમ કે હું મુખ્યમંત્રી છું, હવે હું સૌ લોકોનો છું, બંગાળને પહેલા જ બહુ નુકસાન થઇ ચુક્યું છે, શિક્ષણ અને સંસ્કૃતિનો નાશ થઇ ચુક્યો છે.
આવો આપણે સાથે મળીને બંગાળનો વિકાસ કરીએ. જય શ્રી રામના નારાને લઇને આ વિવાદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. લોકોએ સુવેંદુ અધિકારીના એ વીડિયો પણ જાહેર કર્યા હતા જેમાં તેઓ જોર જોરથી જય શ્રી રામના નારા લગાવતા જોવા મળે છે.
જ્યારે કેટલાક લોકોનું માનવુ છે કે સુવેંદુ અધિકારી બંગાળમાં અન્ય રાજ્યો કરતા અલગ પ્રકારનું રાજકારણ ઇચ્છે છે. તેઓ ત્યાં કોઇ કોમવાદી વિવાદ થાય તેવુ નથી ઇચ્છતા. તેથી એક અલગ દિશા પકડી રહ્યા છે.








