![]()
Justice Yashwant Varma Resigns | અલ્લાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને રાજીનામું સોંપી દીધું છે. છેલ્લા એક વર્ષથી વિવાદોના ઘેરામાં રહેલા જસ્ટિસ વર્માએ સંસદીય તપાસ અને સંભવિત મહાભિયોગ (Impeachment) ની કાર્યવાહી ટાળવા માટે આ પગલું ભર્યું હોવાનું મનાય છે.
શું હતો સમગ્ર વિવાદ?
જસ્ટિસ યશવંત વર્મા જ્યારે દિલ્હી હાઈકોર્ટમાં ફરજ બજાવતા હતા, ત્યારે માર્ચ 2025માં તેમના સત્તાવાર નિવાસસ્થાને આગ લાગી હતી. આ દરમિયાન આગ બુઝાવવા માટે પહોંચેલા ફાયર ફાઈટર જવાનોને ત્યાંથી રૂ. ₹500ની અડધી બળેલી નોટો મળી હતી, જેનું મૂલ્ય કરોડોમાં જતું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ન્યાયતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના વખતે એવા પણ અહેવાલો વહેતા થયા હતા કે, આ નોટોનું મૂલ્ય રૂ. 15 કરોડ જેટલું હતું. જો કે, આ દાવાની હજુ સુધી ખરાઈ થઈ શકી નથી.
સુપ્રીમ કોર્ટની કાર્યવાહી અને ટ્રાન્સફર
ઇન-હાઉસ ઈન્કવાયરી: સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત ત્રણ જજની સમિતિએ તપાસમાં જસ્ટિસ વર્મા સામે પ્રાથમિક પુરાવા મળ્યા હોવાનું નોંધ્યું હતું.
ટ્રાન્સફર: વિવાદ વધતા સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા એપ્રિલ 2025માં તેમને દિલ્હી હાઈકોર્ટમાંથી હટાવીને તેમની પેરન્ટ કોર્ટ એટલે કે અલ્લાહાબાદ હાઈકોર્ટમાં બદલી કરી દેવામાં આવી હતી.
કામગીરી પર રોક: અલ્લાહાબાદ હાઈકોર્ટમાં જોડાયા હોવા છતાં, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તેમને કોઈ ન્યાયિક કામગીરી સોંપવામાં આવી નહોતી.
સંસદમાં મહાભિયોગ
જસ્ટિસ વર્માએ અગાઉ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે સંસદના બંને ગૃહોમાં તેમને પદ પરથી હટાવવા માટેની પ્રક્રિયા (Removal Motion) શરૂ કરવામાં આવી હતી. જજ ઇન્કવાયરી એક્ટ હેઠળ તપાસ સમિતિ પણ બનાવવામાં આવી હતી. આ તપાસ પૂર્ણ થાય તે પહેલા જ તેમણે સ્વેચ્છાએ પદ છોડવાનો નિર્ણય લીધો છે.










