![]()
મુંબઈ : બેન્કો દ્વારા નીચા ધિરાણ દરની ઓફરનો દેશના વેપાર ક્ષેત્ર દ્વારા નોંધપાત્ર લાભ ઉઠાવવામાં આવી રહ્યો હોવાનું રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા જારી કરાયેલા આંકડા પ્રમાણે કમર્સિઅલ ક્ષેત્ર પાસે બાકી પડેલા ધિરાણનો આંક જાન્યુઆરીના અંતે રૂપિયા ૩૦૦ લાખ કરોડને પાર કરી ગયો છે.
કમર્સિઅલ ક્ષેત્રને પૂરી પડાયેલી લોન્સમાં એક વર્ષમાં ૧૪.૭૦ ટકા વધારો થયો છે. દેશમાં વિકાસને વેગ આપવા છેલ્લા એક વર્ષમાં રિઝર્વ બેન્કે રેપો રેટ ૧૨૫ બેઝિસ પોઈન્ટ ઘટાડી ૫.૨૫ ટકા પર લાવી દીધો છે.
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૧૦ મહિનામાં ધિરાણમાં રૂપિયા ૩૪.૫૦ લાખ કરોડ વધારો થયો છે.
બેન્ક તથા નોન-બેન્કિંગ મારફત પૂરા પડાતા ધિરાણ વચ્ચેના અંતરમાં વધારો થયો છે અને બેન્કો દ્વારા ધિરાણનો આંક ઊંચો જોવા મળી રહ્યો છે.
નોન-બેન્કિંગ ક્ષેત્રની સરખામણીએ બેન્કો દ્વારા પૂરા પડાયેલા ધિરાણનો આંક જાન્યુઆરી ૨૦૨૬ના અંતે રૂપિયા ૯ લાખ કરોડ વધુ હતો. ગયા વર્ષના જાન્યુઆરીના અંતે આ અંતર રૂપિયા ૨.૫૦ લાખ કરોડ રહ્યું હતું.
રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં ઘટાડા સાથોસાથ બેન્કિંગ વ્યવસ્થામાં નાણાં ઠલવાવાને કારણે બેન્કો પૂરતી માત્રામાં લિક્વિડિટી ધરાવી રહી છે, જે તેમને ધિરાણ પૂરા પાડવામાં આસાની પૂરી પાડે છે એમ એક બેન્કરે જણાવ્યું હતું.
વર્તમાન નાણાં વર્ષમાં ધિરાણ ઉપાડમાં થયેલા રૂપિયા ૩૪.૫૦ લાખ કરોડમાંથી રૂપિયા ૨૧.૭૦ લાખ કરોડનું ધિરાણ કમર્સિઅલ ક્ષેત્ર તરફથી ઉપાડવામાં આવ્યું હતું.










