![]()
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર
સહકારી બેન્કમાં દસ વર્ષથી વધુ સમય માટે ડિલેક્ટરના હોદ્દા પર સેવા આપનારાઓને હવે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા છૂટા કરી શકશે. સહકારી બેન્કના ચેરમેન અને એમ.ડી.ને આ જોગવાઈ લાગુ પડશે કે નહિ તે અંગે દસમી ડિસેમ્બરે બહાર પાડવામાં આવેલા નોટિફિકેસનમાં સ્પષ્ટતાનો અભાવ જણાઈ રહ્યો છે. ગુજરાતની ૨૦૦થી વધુ સહકારી બેન્કો અને દેશના તમામ રાજ્યોની સહકારી બેન્કોમાં ડિરેક્ટર તરીકે ૧૦ વર્ષથી વધુ સેવા આપી ચૂકેલા ડિલેક્ટરો હજીય તેમના હોદ્દા પર ચોંટીને બેસી રહ્યા હશે તો તેમને રિઝર્વ બેન્ક પાત્રતા ન ધરાવતા હોવાનું ગણીને તેમને છૂટા કરી શકશે. ભારત સરકારે ૧૦મી ડિસેમ્બરે ગેઝેટમાં જાહેરાત કરીને નવું નોટિફિકશન બહાર પાડી દીધું છે.
સહકારી બેન્કના બોર્ડમાં ડિરેક્ટર તરીકે સેવા આપનારાઓને લગતો વિવાદ છેલ્લા ઘણાં વરસોથી ચાલી રહ્યા છે. આ અંગે રિઝર્વ બેન્ક પણ કોઈ જ નિર્ણય લેવાની સ્થિતિમાં નહોતું. હવે કેન્દ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડીને રિઝર્વ બેન્કને સહકારી બેન્કના બોર્ડમાં દસ વર્ષથી વધુ સમયથી સેવા આપનારા ડિરેક્ટર્સને છૂટા કરી દેવાની સત્તા રિઝર્વ બેન્કને પ્રસ્તુત નોટિફિકેશનના માધ્યમથી આપી છે. પરિણામે હવે રિઝર્વ બેન્ક દસ વર્ષથી વધુ સમય સુધી સહકારી બેન્કના ડિરેક્ટરના હોદ્દા પર ચોંટીને બેઠેલા લોકોને દૂર કરવાનો નિર્ણય લઈ શકશે.
આમ તો સહકારી બેન્કના બોર્ડમાં ડિરેક્ટર તરીકે સેવા આપતા ડિરેક્ટર્સ આપોઆપ જ ગેરપાત્ર ઠરી જતાં હતા. છતાંય તેના અનુસંધાનમાં રિઝર્વ બેન્ક કોઈ જ પગલાં લઈ શકતી નહોતી. પહેલા સહકારી કાયદાની કેટલીક જોગવાઈને કારણે તેમાં વિરોધાભાસ ઊભો થતો હોવાથી તેમને દૂર કરી શકાતા નહોતા. હવે તેમને ફરજિયાત હોદ્દો છોડવાની ફરજ પાડી શકશે. ગુજરાતની ૨૦૦થી વધુ સહકારી બેન્કો સહિત તમામ સહકારી બેન્કો માટે આ નિયમ લાગુ કરવામાં આવશે.
બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ઓછા અને વધુ વર્ષથી સેવા આપતા હોય અને બંન અલગ અલગ ગુ્રપમાં વિભાજિત થઈ ગયા હોય તો અલગ અલગ ગુ્રપમાંથી દસ વર્ષથી વધુ સમયથી સેવા આપતા આવ્યા હોય હોય તેવા ડિરેક્ટર્સને દૂર કરવા માટે ડ્રો સિસ્ટમનો આશરો પણ લઈ શકશે. સરકારી વહીવટદારો નિયુક્ત થયેલા હોય અને વહીવટદાર જ બેન્કનો વહીવટ સંભાળતો હશે અને બેન્કમાં બોર્ડ અસ્તિત્વ ન ધરાવતંુ હોય તેવા કિસ્સામાં પણ આ જોગવાઈ લાગુ કરી શકાશે. તેમ જ વરસો સુધી ચૂંટણીઓ ન યોજવામાં આવતી હોય તેવી સંસ્થાઓમાં પણ આ જોગવાઈ લાગુ પડશે.
નવા નોટિફિકેસનને પંદરમી ડિસેમ્બર ૨૦૨૫થી અમલમાં મૂકવામાં આવ્યું છે. આ સાથે જ સહકારી બેન્કિંગના સેક્ટરમાં નવ યુવાનોને તક આપવાનો માર્ગ ખૂલી ગયો છે. નવા યુવાનો સહકારી ક્ષેત્રમાં વધુ આવતા થશે. જોકે નવયુવાનો અનુભવીઓની માફક સહકારી બેન્ક ન ચલાવી શકે તેવી પણ એક શક્યતા હોવાનું સહકાર ક્ષેત્રના જાણકારોનું કહેવું છે.
પ્રસ્તુત નોટિફિકેશનમાં સહકારી બેન્કના ડિરેક્ટર્સના હોદ્દા પર બિરાજમાન વ્યક્તિઓના સંદર્ભમાં કરવામાં આવ્યો છે. જોકે કોઈ સંસ્થાના પ્રતિનિધિ તરીકે બેન્કના બોર્ડમાં ડિરેક્ટર તરીકે સેવા આપનાર વ્યક્તિ હોય તો તેના કિસ્સામાં દસ વર્ષનો નિયમ કેવી રીતે લાગુ કરવામાં આવશે તે અંગે નોટિફિકેશનમાં સ્પષ્ટતા કરવામાં આવી નથી.










