![]()
Jamnagar Crime : જામનગર શહેરના રણજીત સાગર રોડ વિસ્તારમાં જૂની અદાવતનો ખાર રાખી એક વેપારી ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં વેપારીને કમરના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસમાંથી મળતી વિગતો મુજબ સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 117(2), 352 અને 54 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ બનાવ તા. 21/05/2026 ના રોજ સવારે આશરે 10:00 વાગ્યે રણજીત સાગર રોડ પર આવેલ જય ઠાકર હોટલ નજીક, ખંભાળિયા ચોકી વિસ્તાર ખાતે બન્યો હતો.
ફરિયાદી સાગરભાઈ દિલીપભાઈ ગજરા, (ઉંમર વર્ષ 35, ધંધો વેપાર, રહે કિશાન ચોક, દ્વારકાપુરીનો ડેલો, જામનગર) દ્વારા નોંધાવાયેલી ફરિયાદ મુજબ તેઓ તથા આરોપી મહેશભાઈ ધર્મેન્દ્રભાઈ વશીયર બંને ફિલ્ટર પાણીના વેપાર સાથે સંકળાયેલા હોય અગાઉ બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો.
જેનો ખાર રાખી આરોપી મહેશભાઈ ધર્મેન્દ્રભાઈ વશીયર, તેમના દીકરા કિશનભાઈ મહેશભાઈ વશીયર, હરીશભાઈ મનસુખભાઈ ભદ્રા તથા રાજુભાઈ ધર્મેન્દ્રભાઈ વશીયરે ફરીયાદી જ્યારે સિગારેટ પીવા માટે ગયા હતા ત્યારે તેમને ગાળો આપી ઝપાઝપી કરી હતી. ત્યારબાદ ઢીકાપાટુનો માર મારી જમીન ઉપર પછાડી દીધા હતા. જેમાં આરોપી હરીશભાઈ ભદ્રાએ ફરીયાદીના કમરના ભાગ ઉપર ચડી કુદકા મારતા કમરના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા તેમજ શરીરે મુઢ ઈજાઓ પહોંચાડી હતી.
બનાવ અંગે સીટી ‘એ’ ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઇજાગ્રસ્ત વેપારી યુવાન જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.










