![]()
જામનગરમાં વધુ એક હોસ્પિટલમાં કાર્ડિયાક સ્કેમ સામે આવ્યું છે. ઓશવાલ આયુષ હોસ્પિટલ દ્વારા 35 જેટલાં દર્દીઓને જરૂરિયાત ન હોવા છતાં સારવાર કરી સ્ટેન્ડ બેસાડી પીએમજેએવાય યોજનામાંથી 42 લાખ મંજુર કરી લીધા હોવાનું ભોપાળું બહાર આવતાં સૌ કોઈ ચોકી ગયા છે. આ સમગ્ર કૌભાંડ સામે આવતાં આરોગ્ય કમિશ્નર દ્વારા કડક પગલાં લેવાયા છે.
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને 1 કરોડ 26 લાખ 77 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ ઉપરાંત ઓશવાળ આયુષ હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગને પીએમજેએવાય યોજનામાંથી સસ્પેન્ડ કરાઇ છે. ઉપરાંત હોસ્પિટલનાં ડો.શ્રીપદ ભિવાસ્કરને પણ સસ્પેન્ડ કરી દેવાતાં જામનગરના તબીબ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
જામનગરની આયુષ હોસ્પિટલને ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા ઈમેલ મારફતે આ પ્રકારની જાણકારી આપવામાં આવી છે, અને તેની આજથી જ અમલવારી કરી દેવામાં આવી છે. જેને લઈને ભારે ચકચાર જાગી છે. જામનગરની જેસીસી હોસ્પિટલ નું કૌભાંડ કે જે હજુ તપાસ હેઠળ છે, ત્યાં જ શહેરની બીજી હોસ્પિટલનું આ ભોપાળુ છતું થતાં સમગ્ર રાજ્યભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.










