![]()
Jamnagar Suicide Case : જામનગરમાં રણજીત સાગર રોડ પર મયુરબાગ વિસ્તારમાં રહેતી અને 12 સાયન્સમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ ભણતરનો ભાર સહન નહીં થવાથી અભ્યાસના ટેન્શનમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. જેથી પરિવારમાં ભારે ગમગીની ફેલાઈ છે.
આ ચકચાર જનક બનાવની વિગત એવી છે કે જામનગરમાં રણજીત સાગર રોડ પર મયુરબાગ શેરી નંબર-2 માં રહેતા પટેલ વેપારી અલ્પેશભાઈ રમેશભાઈ ચોવટીયાની સોળ વર્ષિય પુત્રી પ્રણીલી ઉર્ફે પૂજા અલ્પેશભાઈ ચોવટીયા કે જે ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે, અને સાયન્સના અભ્યાસનું તેમના પર ખૂબ જ ભારણ હોવાથી અભ્યાસના ટેન્શનમાં રહેતી હતી.
દરમ્યાન તેણીને ગઈકાલે મનમાં લાગી આવતાં પોતે પોતાની જાતે છતના પંખાના હુકમા દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યાનું પગલું ભરી લેતાં પરિવારજનો સ્તબ્ધ બની ગયા હતા, અને ભારે શોકનું મોજુ ફરી વળ્યું હતું.
આ બનાવ અંગે વિદ્યાર્થીનીના પિતા અલ્પેશભાઈ ચોવટીયાએ પોલીસને જાણ કરતાં સીટી એ. ડિવિઝનના એએસઆઇ એચ.આર.બાબરીયા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને વિદ્યાર્થીના મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.










