![]()
Jamnagar : ફીટ ઈન્ડિયા અને હર પર સ્વદેશી-ઘર ઘર સ્વદેશીના નારા સાથે જામનગરવાસીઓ માટે આવતી કાલે તા.13ના શનિવારે નવા બનેલા ફલાયઓવર ઉપર મેરેથોન અને તા.14ના રવિવારે પોલીસ હેડક્વાર્ટરથી વાલસુરા રોડ ઉપર બે સાયકલીંગ ઈવેન્ટનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં દોડમાં 1700 લોકોએ અને સાયકલીંગમાં 2 હજાર લોકોએ ઓનલાઈન નામો નોંધાવીને ઈવેન્ટસમાં ભાગ લઈને તંત્રને બહોળો પ્રતિસાદ આપ્યો છે.
દોડ અને સાયકલીંગની બે ઈવેન્ટોમાં ભાગ લેનારા તમામને એક ટોકન અપાશે. જે મતપેટીની જેમ પારદર્શક પેટીમાં નાંખીને ડ્રો કરીને દોડના 10 ખેલાડી, 10 કી.મી. સાયલીંગના 10 ખેલાડીને સાદી સાયકલ અને 25 કીલોમીટરના 10 સાયકલીસ્ટોને આધુનિક ગિયરવાળી મોંઘી સાયકલો ભેટ અપાશે. જેના સ્પોન્સર્સ સામે આવ્યા છે.
મ્યુનિસીપલ કોર્પોરેશનના બંને આયોજનો અંગે માહિતી આપતા મ્યુનિ. કમિશનર ડી.એન.મોદી અને ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની સુચના મુજબ હર ઘર સ્વેદેશી, ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત 6 કીલોમીટરની મેરેથોન (દોડ) શનિવારે સવારે 6:30 વાગ્યે ઈન્દીરા માર્ગ પરના ઓશવાળ સેન્ટર નજીકની ઓશવાળ એકેડમીથી શરૂ થશે. જેમાં ભાગ લેનારા લોકોએ ફલાય ઓવર ઉપર ચડીને બીજા છેડે સુભાષ બ્રિજ પાસેથી ફરી ફલાય ઓવર ઉપરથી જ એક કલાકમાં પરત આવવાનું રહેશે.
આ ઈવેન્ટ બાદ રવિવારે તા.14મીએ પોલીસ હેડ ક્વાર્ટર ખાતેથી 10 કીલોમીટર અને 25 કીલોમીટરની સાયકલીંગ ઈવેન્ટ પણ યોજાઈ છે. 25 કી.મી.માં ભાગ લેનારાઓએ પોલીસ હેડક્વાર્ટરથી નીકળીને બેડી રોડ વાલસુરા થઈ રોજીપોર્ટના ગેઇટ પાસે બે કલાકમાં પરત આવવાનું રહેશે, જ્યારે 10 કિ.મી. માટે આજ રોડ ઉપરથી એક કલાકમાં પરત આવવાનું રહેશે. બંને દિવસોની ઇવેન્ટમાં ઉત્સાહભેર ભાગ લેનારા શહેરીજનોના પ્રતિસાદને મનપાના પદાધિકારીએ બિરદાવ્યા છે, ઉપરાંત તંત્ર દ્વારા દોડ અને સાઇકલ લિગમાં નામ નોંધાવનારા પ્રથમ 700 લોકોને વીના મૂલ્ય ટીશર્ટ પણ આપવામાં આવશે.










