![]()
Jamnagar Police : જામનગર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વસવાટ કરતા એનડીપીએસ એકટ હેઠળના ગુનાના આરોપીઓ, કે જેઓ અગાઉ નશાના કારોબાર સંદર્ભમાં પકડાઈ ચૂક્યા છે, તેઓની તમામ ગતિવિધિ ઉપર નજર રાખવા માટે જે તે લગત પોલીસ સ્ટેશનના અધિકારીઓની મેન્ટર તરીકે નિમણૂક કરવામાં આવે છે.
જેના અનુસંધાને જામનગર જિલ્લાના તમામ પોલીસમાં મથકોમાં ગઈકાલે એક દિવસ માટેની સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી, અને જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં વસવાટ કરતા આવા આરોપીઓ કે જેઓ સામે ભૂતકાળમાં કેસ નોંધાયેલા છે, અને ફરીથી આવી પ્રવૃત્તિમાં લાગી નથી ગયા ને, તે જાણવા ઉપરાંત તેની તમામ ગતિવિધિઓ અને મુવમેન્ટ ઉપર નજર રાખવા માટે અને જરૂર પડયે કાઉન્સિલિંગ કરવા માટે મેન્ટરની નિમણૂક કરાઈ છે.
જે તમામ મેન્ટરો દ્વારા ગઈકાલે દિવસ દરમિયાન ચેકિંગ કરવામાં આવ્યો હતું. અને ગઈકાલે એક જ દિવસમાં આવા કુલ 9 જુના આરોપીઓ કે જેઓ અગાઉ એન.ડી.પી.એસ. ના ગુનામાં પકડાઈ ચૂકયા છે. જે તમામની ઘરે દરોડા પાડ્યા હતા, અને તેઓના પૂછપરછના આધારે નિવેદનો નોંધ્યા છે.
મેન્ટરનો કાયદો શું છે: અને કઈ રીતે અમલમાં આવ્યો
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 2023 ની સાલથી આ નિયમ અમલમાં મૂક્યો છે, અને અગાઉ એન.ડીપી.એસ ના ગુનામાં પકડાઈ ચૂક્યા હોય તેવા આરોપીઓમાં સુધાર લાવવા માટે અને ફરીથી આવી પ્રવૃત્તિમાં ધકેલાય નહીં, તે માટે જે વિસ્તારમાં વસવાટ કરે છે, તે વિસ્તારના પોલીસ મથકના પીઆઇ થતા અન્ય પોલીસ અધિકારીઓ કે જેઓની મેન્ટર તરીકે નિમણૂક થાય છે, અને જામનગર શહેર અને જિલ્લામાં કુલ આવા 90 આરોપીઓ કે જેઓ સામે એનડીપીએસએકટ હેઠળ ગુનો દાખલ થઈ ચૂકયો છે, તે તમામ ઉપર પોલીસ તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે, અને ગઈકાલે એસપી ડો. રવિ મોહન સૈનિના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં સ્પેશિયલ ડ્રાઇવ રાખી હતી, જે પૈકી 9 વ્યક્તિને ચકાસવામાં આવ્યા છે.










