![]()
Jamnagar : પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટ અંતર્ગત જામનગર-લાખાબાવળ (10 કિમી) સેક્શન વચ્ચે રેલવે વિભાગ દ્વારા ટ્રાયલ ચલાવવામાં આવતી હતી. જે દરમિયાન ગઈકાલે સાંજે જામનગરના ધરારનગર સાત નાલા વિસ્તારમાં રેલવેના ટ્રેક ઉપર એક યુવાન ટ્રેન હડફેટે ચડી ગયો હતો, અને તેનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવને લઈને દોડધામ થઈ હતી, અને રેલવે વિભાગ દ્વારા સૌપ્રથમ ઘટના સ્થળે જઈને તપાસણી કરવામાં આવી હતી.
દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું, કે મૂળ ખંભાળિયા તાલુકાના મોવાણા ગામના વતની અને હાલ જામનગરના ધરાનગર વિસ્તારમાં સલીમ બાપુના મદરેશા પાસે રહેતો હુસેન નૂરમામદ પતાણી વર્ષનો યુવાન ટ્રેનના એન્જિનની ઠોકરે ચડી ગયો હતો, અને ગંભીર ઇજા થઈ હતી, જે બનાવ બાદ 108 ની ટીમને દોડતી કરાવાઈ હતી અને સ્થળ પર જઈને તપાસ કરતા તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું. આ બનાવ અંગે મૃતકની પત્ની હસીનાબેન હુસેનભાઇ પતાણીએ પોલીસને જાણ કરતાં સિટી બી. ડિવિઝનના પોલીસ સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી જામનગરની સરકારી જી જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું.
એક તબક્કે આ રેલવેની ટ્રાયલ દરમિયાન એકથી વધુ વ્યક્તિ ટ્રેન હડફેટે ચડી ગયાની અફવા ફેલાઇ હતી, અને રેલવે તંત્ર તેમજ શહેરનો પોલીસ વિભાગ વગેરે ધંધે લાગ્યા હતા, પરંતુ અન્ય કોઈ જાણકારી મળી નથી. જ્યારે એક વ્યક્તિના મૃત્યુ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.










