![]()
Jamnagar News: ‘છોટી કાશી’ના ઉપનામથી જાણીતા જામનગરમાં શ્રાવણ માસના બીજા સોમવારે શિવ ભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ નગરના નાના-મોટા શિવાલયો ‘જય ભોળાનાથ’ના નાદથી ગુંજી ઉઠ્યા હતા. શિવભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું, અને સૌના મુખે ‘હર હર મહાદેવ’નો જયઘોષ સાંભળવા મળ્યો હતો.
મહાદેવના દર્શન માટે મંદિરોમાં ભક્તોની ભીડ
ભક્તોએ ભોળાનાથને રીઝવવા માટે બિલીપત્ર, જલાભિષેક અને અભિષેક જેવી પૂજા-અર્ચના કરી હતી. જામનગરના પ્રમુખ મંદિરો, જેમ કે સિદ્ધનાથ મહાદેવ, ભીડભંજન મહાદેવ, કાશી વિશ્વનાથ, નાગેશ્વર, નીલકંઠ, વૈજનાથ, પ્રતાપેશ્વર, નર્મદેશ્વર, જળેશ્વર, સુખનાથ, અને મણીકણીકંકેશ્વર મહાદેવ મંદિરોમાં દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ ભગવાન શિવજીના પ્રિય બિલ્વપત્ર અર્પણ કરી દર્શનનો લાભ લીધો હતો.
આ પણ વાંચો: રક્ષાબંધન 2025: ભાઈની રાશિ અનુસાર પસંદ કરો રાખંડીનો રંગ, ખૂલી જશે ભાગ્યના દ્વાર
શિવાલયો પર પોલીસ અને હોમગાર્ડના જવાનોનો બંદોબસ્ત
ભક્તોની આટલી મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને, નગરના મુખ્ય શિવાલયો પર પોલીસ વિભાગ અને હોમગાર્ડના જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ તૈનાત હતા. આ વ્યવસ્થાને કારણે શિવભક્તો શાંતિપૂર્વક દર્શન કરી શક્યા હતા. જામનગરની આ શ્રદ્ધા અને ભક્તિ ખરેખર પ્રશંસનીય હતી.










