![]()
Rabri Devi Rejects Eviction Order In Bihar: બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને પટણા સ્થિત 10 સર્ક્યુલર રોડ ખાતેનું તેમનું સરકારી નિવાસસ્થાન ખાલી કરવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. આ સરકારી આદેશ બાદ બિહારના રાજકારણમાં એકાએક ગરમાવો આવી ગયો છે. આ મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ પણ આક્રમક વલણ અપનાવતા મોટું નિવેદન આપ્યું છે અને ઘર ખાલી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
કોઈપણ સંજોગોમાં નિવાસસ્થાન ખાલી નહીં કરુ: રાબડી દેવી
રાબડી દેવી તેમના પૌત્ર ઇરાજના જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપીને દિલ્હીથી પટણા પરત ફર્યા હતા. પટણા એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત દરમિયાન પત્રકારોએ જ્યારે તેમને સરકારી નિવાસસ્થાન ખાલી કરવાના આદેશ વિશે પૂછ્યું, ત્યારે તેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો. રાબડી દેવીએ સીધો પડકાર ફેંકતા કહ્યું કે, ‘સમ્રાટ ચૌધરી મને ઘર ખાલી કરવા માટે જેટલી ફોર્સ બોલાવવી હોય તેટલી બોલાવી લે, પણ હું કોઈપણ સંજોગોમાં આ નિવાસસ્થાન ખાલી કરવાની નથી.’ પૂર્વ મુખ્યમંત્રીના આ તેવરથી રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચો: દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા
આ જંગલરાજ નથી, કાયદાનું પાલન કરવું જ પડશે: ભાજપ
રાબડી દેવીના આ આક્રમક નિવેદન સામે ભારતીય જનતા પાર્ટી (BJP) એ પણ વળતો પ્રહાર કર્યો છે. ભાજપના રાજ્ય પ્રવક્તા નીરજ કુમારે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘રાબડી દેવીજી, આ જંગલરાજ નથી કે તમારી મનમાની ચાલે. અહીં કાયદાનું પાલન થવું જ જોઈએ. તમારા પરિવારના લોકો સારવાર માટે સિંગાપોર જાય છે, દિલ્હીમાં પૌત્રનો જન્મદિવસ ઉજવવા જાય છે, અને જ્યારે લૂંટની વાત આવે છે ત્યારે બિહાર પાછા આવી જાય છે. આ બધું હવે નહીં ચાલે; કાયદાનું સન્માન કરવું જ પડશે.’
ભાજપ પ્રવક્તા નીરજ કુમારે લાલુ યાદવના પરિવાર પર કટાક્ષ કરતા વધુમાં ઉમેર્યું હતું કે, ‘યાદવ પરિવારે 10 સર્ક્યુલર રોડના આ બંગલામાં એવો તે કયો ખજાનો છુપાવ્યો છે કે તેઓ તેને છોડવા તૈયાર નથી? જો ત્યાં કોઈ છુપાયેલો ખજાનો હશે તો પણ બિહાર પોલીસ તેને શોધી જ કાઢશે.’
ઉલ્લેખનીય છે કે, બિહારમાં સરકારી બંગલો ખાલી કરાવવાના આ કાયદાકીય આદેશ સામે હવે લાલુ પરિવાર અને સત્તાધારી પક્ષ સામસામે આવી ગયા છે, જેને કારણે આગામી દિવસોમાં આ રાજકીય વિવાદ વધુ ઉગ્ર બને તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.










