![]()
-ચોમાસાના વરસાદમાં રસ્તાનું ધોવાણ
– રસ્તા રીપેરીંગ માટે માર્ગ મકાન વિભાગને કરોડોની ગ્રાન્ટ ફાળવવી હોવા છતાં સમરકામનો અભાવ
જેસર : ચોમાસાના અતિ ભારે વરસાદના કારણે ભાવનગર જિલ્લાના અનેક રસ્તાઓેનું ધોવાણ થયું છે. આ રસ્તાઓના સમારકામ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાય છે પરંતુ જેસરથી યાત્રાધામ બગદાણા તથા ભગુડા જતો રસ્તો દોઢ મહિના બાદ પણ બીસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો તેમજ દર્શનાર્થીઓને પારાવાર હાલાકી ભોગવી પડે છે
ચોમાસામાં પડેલા ધોધમાર વરસાદથી રસ્તાઓ બેહાલ બન્યા છે ત્યારે જેસરથી યાત્રાધામ બગદાણા ભગુડાનો રસ્તો મગરની પીઠ જેવો બની જતા વાહન ચાલકો તેમજ ખાસ કરીને દર્શનાર્થીઓ તેમજ યાત્રિકો તોબા કરી ગયા છે. બગદાણા એ ગુજરાતમાં મોટામાં મોટું યાત્રાધામ હોવા છતા રસ્તાઓેની હાલત બદતર બની ગઈ છે ચોમાસા બાદ માર્ગ અને મકાન વિભાગને આ ધોવાયેલા રસ્તાઓ રીપેરીંગ કરવા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હોય જેને પણ દોઢ મહિના જેટલો સમય થયો હોવા છતાં રસ્તાઓની સ્થિતિ જેસે થે રહી છે. આ પંથકમાં રાની પશુઓના પણ આટા ફેરા નોંધાયા છે ત્યારે ખરાબ રસ્તાને કારણે વાહનમાં પંચર પડે કે વાહન ખરાબ થાય ત્યારે જીવનું જોખમ રહે છે તો વહેલી તકે જેસરથી બગદાણાનો રોડ મંજૂર કરી નવો બનાવવામાં આવે તેવી વાહન ધારકોમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે.










