![]()
Supreme Court SIR Hearing : પશ્ચિમ બંગાળમાં સઘન પુનઃપરીક્ષણ એટલે કે SIR પ્રક્રિયા મતદારોના નામ દૂર કરવા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જસ્ટિસ જૉયમાલ્યા બાગચીએ મતદાન યાદીમાંથી મતદારોના નામ દૂર કરવા મામલે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે SIR મુદ્દે ચૂંટણી પંચને સવાલ કર્યો છે કે, જો જીતનું અંતર 2% હોય અને 15% લોકો વોટ ન આપી શકે તો શું? જસ્ટિસે યાદીમાંથી હટાવાયેલા વ્યક્તિઓની અપીલ પર વિચારણા કરવા મજબૂત ‘અપીલ તંત્ર’ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
બંગાલ મામલે ચૂંટણી પંચનું અલગ વલણ : સુપ્રીમ કોર્ટ
જસ્ટિસે તે મુદ્દા પર વિશેષ ધ્યાન આપ્યું છે, જેમાં ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં અન્ય રાજ્યોથી અલગ ‘તાર્કિક વિસંગતતા’ નામની એક શ્રેણી રજૂ કરી છે. તેમણે એવું પણ કહ્યું કે, બિહારમાં જે રીતે SIR પ્રક્રિયા હાથ ધરાઈ હતી, તેવું વલણ અપનાવવા બદલે ચૂંટણી પંચ ભટકી ગયું છે. ચૂંટણી પંચે બિહાર મામલે કહ્યું હતું કે, 2002ની મતદાર યાદીમાં સામેલ વ્યક્તિઓએ દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર નથી.
આ પણ વાંચો : ‘આ તો પતિના લોહીના તરસ્યા હોવા બરાબર છે..’, MP હાઈકોર્ટે મહિલાની ભરણપોષણની અરજી ફગાવી
જસ્ટિસે ચૂંટણી પંચને પૂછ્યા સવાલ
લાઈવ લૉના અહેવાલ મુજબ, જસ્ટિસ બાગચીએ ચૂંટણી પંચને પ્રશ્ન કર્યો કે, ‘જો ઉમેદવારની જીતનું અંતર 10% હોય અને 10% મતદારો મતદાન ન કરે તો કદાચ વાંધો ન આવે. પરંતુ જો જીતનું અંતર માત્ર 2% હોય અને યાદીમાંથી નામ કપાવાને કારણે પાત્રતા ધરાવતા 15% મતદારો વોટ ન આપી શકે, તો આ ગંભીર બાબત છે અને આપણે તેના પર નિશ્ચિતપણે વિચારવું જોઈએ.’ તેમણે વધુમાં ઉમેર્યું કે કોર્ટ કોઈ વ્યક્તિગત અભિપ્રાય નથી આપી રહી, પરંતુ યોગ્ય કે ખોટી રીતે યાદીમાંથી બહાર રહી ગયેલા જાગૃત મતદારની ચિંતા મહત્વની છે.
SIR કામગીરી કરનારા અધિકારીઓ પર પણ કોર્ટની ટિપ્પણી
જસ્ટિસે કહ્યું કે, જ્યારે અત્યંત દબાણવાળી પરિસ્થિતિ હોય ત્યારે SIRની કામગીરી કરતા ન્યાયિક અધિકારીઓ પાસે 100 ટકા સારી કામગીરીની આશા ન રાખી શકાય. જ્યારે અધિકારી ઓછી સમયમર્યાદાની અંદર, દૈનિક 1000થી વધુ દસ્તાવેજો ચકાસતા હોય તો 70 ટકા ચોક્સાઈને પણ ઉત્કૃષ્ટ કામગરી માનવામાં આવશે, તેથી જસ્ટિસે મજબૂત અપીલ તંત્ર સ્થાપવાની જરૂરિયાત પર ભાર આપ્યો છે.
જોકે ચીફ જસ્ટિસે અરજી ‘સ્વીકારવામાં અનિચ્છા વ્યક્ત કરી છે અને સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. તેમણે અરજદારને કહ્યું છે કે, તમે અપીલ ટ્રિબ્યુનલ સમક્ષ તેનું પાલન કરો. બેંચે અરજી ફગાવી દીધી છે, જોકે અરજદાર માટે અપીલ કરવાનો રસ્તો ખુલ્લો રાખ્યો છે. બેંચે સ્પષ્ટ કહ્યું છે કે, જો અરજદારની અરજી સ્વિકારવામાં આવશે તો જરૂર નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો : મોટો અકસ્માત: મહારાષ્ટ્રના થાણેમાં સિમેન્ટ મિક્સર અને કાર વચ્ચે ભીષણ ટક્કરમાં 11 લોકોના કરૂણ મોત










