![]()
Vadodara News: વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 22 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ગત 9 જુલાઈના રોજ વડોદરામાં મહી નદી ઉપર આવેલા ગંભીરા પુલનો એક ગાળો ધરાશાયી થયો હતો. જેના કારણે પુલ પરનો વાહન વ્યવહાર બંધ થવાથી વાહનચાલકો તથા રાહદારીઓને ખુબ જ હાલાકી ભોગવવી પડતી હતી. આ પછી માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત પુલના બાજુમાં નવીન પુલ બનાવવાની કામગીરી હાથ ધરી હતી, જેનું 22% સુધી કામ પૂર્ણ થયું છે. જ્યારે ટુ-વ્હીલર અને રાહદારીઓ માટે સમારકામ કરી જૂનો ગંભીરા બ્રિજ શરૂ થશે.
બ્રિજ દુર્ઘટના બાદ પાદરા-બોરસદના રાહદારી પરેશાન
ગંભીરા બ્રિજ દુર્ઘટના કારણે પાદરા તથા બોરસદ વિસ્તારમાં સ્થાપિત વિવિધ ઔદ્યોગિક એકમો ખાતે રોજગારી અર્થે અવર-જવર કરતાં લોકોને મુસાફરીમાં ડાયવર્ઝનના કારણે પડતી મુશ્કેલીના નિવારણ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત પુલનું વિસ્તૃત નિરીક્ષણ તથા પરીક્ષણ હાથ ધરી સ્ટીલ બ્રિજની વૈક્લ્પિક વ્યવસ્થાથી વાહન વ્યવહાર પુન:સ્થાપિત કરવા રજૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: VIDEO: શહેરા-ગોધરા હાઇવે પર ગાબડું પુરવાની કામગીરી શરૂ, વીડિયો વાઈરલ થયા બાદ તંત્ર દોડતું થયું
તેને અનુલક્ષીને કેબિનેટ મંત્રી રમણભાઇ સોલંકી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરતાં ગત 18 નવેમ્બર, 2025થી રૂ.9.12 કરોડના ખર્ચે ક્ષતિગ્રસ્ત પુલ પર નવિનત્તમ સ્ટીલ બ્રિજ તથા પુલના અન્ય ગાળાઓમાં જરૂરી સમારકામગીરી હાથ ધરવા માટે મંજૂરી આપવામાં આવી છે. જ્યારે કામગીરી પૂર્ણ થયા પછી રસ્તા પરથી પસાર થતાં વડોદરા જિલ્લા તથા આણંદ જિલ્લાના મુસાફરોને રાહત થશે.










