![]()
– કઠલાલ-બાલાસિનોર હાઈવે પર અકસ્માત
– પિતાના અકાળે અવસાનથી બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી
કઠલાલ : અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ગંભીર અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. કઠલાલ કટથી બાલાસિનોર તરફ જતાં રોડ પર ગાયત્રી લચ્છી પાસે પુરપાટ ઝડપે આવતા એક ટ્રેલરે મોટરસાયકલને અડફેટે લેતા મોટી શાહપુરના ૨૭ વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું
કઠલાલ તાલુકાના મોટી શાહપુર (સીમ વિસ્તાર)માં રહેતા રાહુલભાઈ નારણભાઈ પરમાર (ઉં.વ. ૨૭) અને યશવંતસિંહ રમેશભાઈ સોઢા પરમાર (રહે. સીધાલીયાની મુવાડી) પોતાની મોટરસાયકલ લઈને પસાર થઈ રહ્યાં હતા. આ દરમિયાન ગાયત્રી લચ્છીની સામેના ભાગે એક ટ્રેલરના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારી બાઈકને ટક્કર મારી હતી. જેમાં રાહુલભાઈને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે યશવંતસિંહ પરમારને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મૃતક રાહુલભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પિતાના અકાળે અવસાનથી આ બંને માસૂમ બાળકોએ નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. ઘરના મોભીના જવાથી પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.










