![]()
વડોદરા,ડ્રેનેજનું મલિનજળ શુધ્ધ કરવાની ક્ષમતામાં વડોદરા કોર્પોરેશન સતત વધારો કરી રહ્યું છે. વર્ષ ૨૦૫૦ સુધીનો ૯૬૩ એમએલડી ક્ષમતાનો લક્ષ્યાંક કોર્પોરેશન આવતા વર્ષ સુધીમાં જ હાંસલ કરી લેશે.
હાલ વડોદરામાંથી કુલ ૫૧૨ એમએલડી મલિનજળ પેદા થાય છે, તેની સામે ૬૬૨ એમએલડી મલિનજળ શુધ્ધિકરણ કરવાના પ્લાંટ ચાલુ છે. મિશન ૨૦૫૦ અંતર્ગત અંદાજે ૫૪ લાખની વડોદરાની વસ્તી માટે ૯૮૯ એમએલડી ક્ષમતાના મલિનજળ શુધ્ધિકરણ પ્લાન્ટની જરૃરિયાતને પહોંચી વળવા માટે પાંચ વર્ષમાં મહાનગરપાલિકા દ્વારા ૫૮૬.૧૨ કરોડના ખર્ચે કપુરાઇ, ભાયલી છાણી, વેમાલી, અટલાદરા અને તરસાલી ખાતે કુલ ૩૫૨ એમએલડીના ૬ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કર્યા છે. આ ઉપરાંત કપુરાઇ, છાણી, અટલાદરા અને અટલાદરા-૨ ખાતે ૧૫૦ એમએલડી ક્ષમતાના પ્લાન્ટ અપગ્રેડેશન કરવાનું આયોજન છે. શેરખી, ગાજરાવાડી, ઉંડેરા અને વડદલા ખાતે ૩૦૧ એમએલડી ક્ષમતા ધરાવતા નવા ચાર પ્લાન્ટની કામગીરી હાલ ચાલુ હેઠળ છે, તેમ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રીનું કહેવું છે.
શહેરમાં ૬૧ સુવેઝ પમ્પિંગ સ્ટેશન કાર્યરત છે. ૩૩.૭૧ કરોડના ખર્ચે નવા ૭ પમ્પિંગ સ્ટેશનના કામ ચાલુ છે. કાલુપુરા ખાતે પમ્પિંગ સ્ટેશન બનાવવાનું કામ આયોજન હેઠળ છે. કુલ ૨૨.૭૦ કરોડના ખર્ચે ૨૬ પમ્પિંગ સ્ટેશનોની પમ્પિંગ મશીનરીનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે, એમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે ૨૦૨૦માં શહેરમાં ૧૫૪૮ કિમી લંબાઇનું ડ્રેનેજ નેટવર્ક હતું. જેની સામે ૨૦૨૫માં ૧૨૦ કિમીની કામગીરી કરતા હાલ ૧૫૬૮ કિમીનું હાલ ડ્રેનેજ નેટવર્ક છે.
૪૮ કિમીના ડ્રેનેજ નેટવર્કની કામગીરી હાલ ચાલુ છે. ૨૦૨૬ સુધીમાં શહેરમાં ૧૭૧૬ કિમી ડ્રેનેજ નેટવર્ક હશે.










