Radhan Pandit Vettrivel: તમિલનાડુના રાજ્યપાલ દ્વારા શરૂઆતમાં ઈનકાર કર્યા બાદ આખરે વિજયનો સરકાર બનાવવાનો દાવો સ્વીકારવામાં આવ્યો હતો. વિજયે તેમના શપથ ગ્રહણ સમારોહ માટે પહેલા 10 મેના રોજ બપોરે 3:45 વાગ્યાનો સમય નક્કી કર્યો હતો. જોકે, તેમના અંગત જ્યોતિષી રાધન પંડિત વેટ્ટ્રિવેલની સલાહ મુજબ, ‘શુભ મુહૂર્ત’ને ધ્યાનમાં રાખીને આ સમય બદલીને સવારે 10 વાગ્યાનો કરવામાં આવ્યો હતો. વેટ્ટ્રિવેલ વિજયની રાજકીય સફરમાં દરેક પગલે માર્ગદર્શક રહ્યા છે.
જ્યોતિષ વેટ્ટ્રિવેલની મુખ્યમંત્રીના OSD તરીકે નિમણૂક
વિજયે મુખ્યમંત્રી પદ સંભાળતાની સાથે જ તેમના જ્યોતિષી વેટ્ટ્રિવેલનું ભાગ્ય પણ ખૂલી ગયું છે. મંગળવારે રાધન પંડિત વેટ્ટ્રિવેલને તમિલનાડુ સરકારમાં મુખ્યમંત્રીના ખાસ ફરજ પરના અધિકારી (OSD-રાજકીય) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેનો અર્થ છે કે તેઓ મુખ્યમંત્રીને રાજકીય બાબતોમાં ખાસ સલાહ અને માર્ગદર્શન આપશે. વેટ્ટ્રિવેલ તમિલનાડુમાં એક જાણીતા આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે ઓળખાય છે, જેમણે ચૂંટણી પહેલા જ વિજયની જીતની સચોટ ભવિષ્યવાણી કરી હતી.

આ પણ વાંચો: સનાતનને ખતમ કરી દેવો જોઈએ: ઉદયનિધિ સ્ટાલિનનું ફરી વિવાદાસ્પદ નિવેદન, BJP ભડકી
જયલલિતા સહિત અનેક દિગ્ગજોના રહ્યા છે માર્ગદર્શક
જ્યોતિષશાસ્ત્રના ક્ષેત્રમાં ચાર દાયકાનો અનુભવ ધરાવતા વેટ્ટ્રિવેલ પાસે જયલલિતા જેવા અનેક મોટા રાજકારણીઓ સલાહ લેવા આવતા હતા. એવું કહેવાય છે કે પૂર્વ મુખ્યમંત્રી જયલલિતા પણ મહત્ત્વના નિર્ણયો લેતા પહેલા વેટ્ટ્રિવેલની સલાહ લેતા હતા. વર્ષ 2008માં દિલ્હી ગયા બાદ તેમણે પોતાનું નામ બદલીને રાધન પંડિત કર્યું હતું, જ્યાં ભાજપ, કોંગ્રેસ, DMK અને AIADMKના નેતાઓ પણ તેમના ક્લાયન્ટ બન્યા હતા. તેમણે વિજયની કુંડળી જોઈને તેને રાજકારણમાં ‘સુનામી જેવી તાકાત’ ગણાવી હતી.
TVKની શાનદાર જીત અને સરકારની રચના
તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં વિજયની પાર્ટી તમિલગા વેટ્ટ્રી કઝગમ (TVK)એ શાનદાર પ્રદર્શન કરતા 234 બેઠકોમાંથી 108 બેઠકો જીતી હતી. જોકે વિજય બહુમતીથી થોડા પાછળ રહ્યા હતા, પરંતુ કોંગ્રેસ અને VCK સહિતના અન્ય પક્ષોએ સમર્થન આપતા તેઓ મુખ્યમંત્રી બનવામાં સફળ રહ્યા છે. નોંધનીય છે કે ‘એક્સિસ માય ઇન્ડિયા’ના પ્રદીપ ગુપ્તાએ પણ વિજય માટે 108થી 120 બેઠકોની આગાહી કરી હતી, જે સાચી પડી છે.










