Telangana High Court: તેલંગાણા હાઇકોર્ટે IAS(ભારતીય વહીવટી સેવા) કેડરના પદો પર IPS(ભારતીય પોલીસ સેવા) અધિકારીઓની નિમણૂક અંગે રાજ્ય સરકાર પાસેથી સ્પષ્ટતા માંગી છે. એક રિટ પિટિશનના આધારે હાઇકોર્ટે આ આદેશ આપ્યો છે, જેમાં જણાવાયું છે કે આ પ્રકારની ક્રોસ-કેડર નિમણૂકો નિયમોનું ઉલ્લંઘન કરે છે. કોર્ટે સરકારને આ નિર્ણયો પાછળના કાનૂની કારણો રજૂ કરવા જણાવ્યું છે અને આ કેસની આગામી સુનાવણી 10 ડિસેમ્બરના રોજ નિર્ધારિત કરવામાં આવી છે. આ પગલાંથી વહીવટી સેવાઓના માળખા અને નિયમોના પાલન પર ગંભીર સવાલો ઊભા થયા છે.
નિયમોના ઉલ્લંઘનનો દાવો
હૈદરાબાદના વકીલ અને સામાજિક કાર્યકર્તા વાડલા શ્રીકાંતે આ રિટ પિટિશન દાખલ કરી છે. તેમના વકીલ વિજય ગોપાલનું કહેવું છે કે, સરકાર દ્વારા જાહેર કરાયેલો નિર્ણય, ખાસ કરીને જીઓ 1342 (26 સપ્ટેમ્બરે જાહેર થયેલ), બે ભારતીય સેવાઓની અલગ-અલગ ભૂમિકાઓ દર્શાવતા કેન્દ્રીય કાયદાઓનો ભંગ કરે છે. ઍડ્વૉકેટ ગોપાલના મતે, આ ક્રોસ-કેડર નિમણૂકો IAS(Fixation of Cadre Strength) Regulations, 2016 જેવા નિયમોનું ઉલ્લંઘન છે.
ચર્ચામાં રહેલા ત્રણ અધિકારીઓ
અરજીમાં ખાસ કરીને ત્રણ IPS અધિકારીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેઓ સામાન્ય રીતે IAS કેડર માટે આરક્ષિત પદો પર કાર્યરત છે, જેમાં…
IPS સ્ટીફન રવિન્દ્ર: જેઓ સિવિલ સપ્લાય કમિશનર અને એક્સ ઑફિશિયો પ્રધાન સચિવ તરીકે કામ કરી રહ્યા છે.
IPS શિખા ગોયલ: જેઓ ડિરેક્ટર જનરલ (વિજિલન્સ એન્ડ એન્ફોર્સમેન્ટ) છે.
સીવી આનંદ: હૈદરાબાદના પૂર્વ કમિશ્નર, જેમને ગૃહ વિભાગના વિશેષ મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: સંસદમાં સંચાર સાથી અને SIR મુદ્દે ઘમાસાણ, વિપક્ષ દ્વારા બંને ગૃહોમાં જોરદાર નારેબાજી
મીડિયા રિપોર્ટ્સ સૂચવે છે કે IPS અધિકારીઓને પ્રધાન સચિવ રેન્ક પર નિમણૂક આપવાની આ પ્રથા વર્ષ 2014માં BRS સરકારના સમયથી ચાલી આવે છે. જોકે, સરકારી વકીલ રાહુલ રેડ્ડીએ કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવા માટે વધારાના સમયની માંગણી કરી હતી.











