![]()
રાજકોટમાં માધાપર ચોક ખાતે કોંગ્રેસ-પોલીસ વચ્ચે ધમાસાણ
ધરાર હેલમેટ નહીં, ફરજીયાત સારા રસ્તા આપોઃ ભાજપના ભ્રષ્ટાચારના કારણે રસ્તા ઉપર ગાબડાં છે-કોંગ્રેસના આક્ષેપો
રાજકોટ: રાજકોટમાં એક તરફ અતિશય ભંગાર રસ્તાઓ સુધારવાને બદલે રસ્તા પર પસાર થતા હજારો વાહનચાલકો પાસેથી પોલીસે હેલમેટ દંડ વસુલતા ફેલાયેલા લોકરોષથી વિપક્ષોને મુદ્દો મળ્યો છે. રસ્તા પરના તોતિંગ ગાબડાંની તસ્વીરો વાયરલ કરીને કોંગ્રેસના કાર્યકરો માધાપર ચોક પાસે ગાબડાં પાસે એકત્ર થઈને રોષપૂર્વક વિરોધ પ્રદર્શન કરતા પોલીસે નેતાઓ,કાર્યકરોના બાવડાં પકડીને અટકાયત કરી હતી.
ભાજપ સરકારના ભ્રષ્ટાચારના પાપે શેરીઓથી માંડીને હાઈવે સુધી મસમોટા ખાડા પડયા છે, આ ભ્રષ્ટાચારની વૈતરણી કમલમથી નીકળી ભાજપના નેતાઓના ઘર સુધી પહોંચે છે, લોકો પાસે તગડો ટેક્સ લઈ સારા રસ્તા આપવા નથી, જીવલેણ અકસ્માતો રોકવા ભારે વાહનો પ્રવેશબંધીનો અમલ કરાવવો નથી અને હેલમેટ દંડ વસુલતા ભાજપ સરકારને શરમ નથી આવતી તેવું કોંગ્રેસના અતુલ રાજાણી, રાજદિપસિંહ જાડેજા, ગાયત્રીબા વાઘેલા વગેરેએ જણાવ્યું હતું. મસમોટા ગાબડાં ભાજપના કાર્યાલયથી માંડ ૨૦૦ મીટરના અંતરે આવેલા છે. આજે ધરણાં પ્રદર્શન માટે પોલીસની મંજુરી પણ મેળવાઈ હતી છતાં પોલીસે અટકાયતો કરીને વિરોધને દબાવવા કોશિષ કર્યાનો આક્ષેપ પઁણ કરાયો હતો.
આ ઉપરાંત રૈયા ચોકડીએ પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા શહેરી વિસ્તારમાં ફરજીયાત હેલમેટનો વિરોધ કરાયો હતો. એક તરફ મહાપાલિકાની ચૂંટણી છ માસ પછી આવી રહી છે ત્યારે હેલમેટ સામે લોકોના રોષથી વિપક્ષો સક્રિય બની ગયા છે જ્યારે આજે ખુદ ભાજપના જ કોર્પોરેટરને હેલમેટ મુદ્દે રોકાયા છતાં ભાજપના એકલદોકલ નેતાને બાદ કરતા ધારાસભ્યો,સાંસદો, મેયર-ચેરમેન વગેરેએ મૌન રહેવાનું પસંદ કર્યું છે.










