![]()
Saumitra Khan BJP Claim: પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે પોતાના જ નેતાઓના આંતરિક અસંતોષનો સામનો કરી રહી છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને બાંકુડાના સાંસદ સૌમિત્ર ખાને એક એવો દાવો કર્યો છે, જેનાથી બંગાળના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સૌમિત્ર ખાને દાવો કર્યો છે કે, TMCના આશરે 50 ધારાસભ્યો અને 20 સાંસદો પોતાની પાર્ટીથી નારાજ છે અને ભાજપમાં આવવા માટે તૈયાર બેઠા છે. સૌમિત્ર ખાને જણાવ્યું કે, આ તમામ નેતાઓ ભાજપના હાઈકમાન્ડના સંપર્કમાં છે. તેમણે આક્રમક અંદાજમાં કહ્યું, “જો ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ એકવાર લીલી ઝંડી આપી દે, તો બંગાળમાં TMC નામની કોઈ પાર્ટી જ નહીં બચે. દરેક વ્યક્તિ ભાજપમાં જોડાવા માટે તૈયાર છે.
2021માં ભાજપના ઘર તોડાવ્યા, હવે તેમના ઘર સામે બુલડોઝર છે’
સાંસદ સૌમિત્ર ખાને તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક બેનર્જી પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમને પાપી ગણાવતા ખાને કહ્યું કે, “પાપીઓએ જેલમાં જવું જ પડે છે અને તેમને તાત્કાલિક પરિણામ ભોગવવા પડે છે. વર્ષ 2021 માં અભિષેક બેનર્જીએ ભાજપના કાર્યકરોના ઘર તોડાવ્યા હતા, પરંતુ આજે તેના જ ઘરની સામે બુલડોઝર ઊભું છે. આવા લોકોને નરકમાં જવું જોઈએ.”
TMC માં ભડકો
ભાજપના સાંસદનો આ દાવો એવા સમયે આવ્યો છે જ્યારે બંગાળમાં TMC પોતાના જ નેતાઓની નારાજગીથી ઝઝૂમી રહી છે. એક દિવસ પહેલા જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની વહીવટી બેઠકમાં બારાસાતના (બારાપોર) TMC સાંસદ કાકોલી ઘોષ દસ્તીદાર અને તૃણમૂલના 6 ધારાસભ્યો પહોંચ્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદમાં હનીટ્રેપ! વોટ્સએપ પર ફ્રેન્ડશિપ બાદ યુવતીએ મળવા બોલાવ્યો, પતિએ મિત્ર સાથે મળી યુવકને ચપ્પુના ઘા ઝીંક્યા
ચીફ વ્હીપ પદેથી હટાવાયા
કાકોલી ઘોષને તાજેતરમાં જ TMC એ લોકસભામાં ચીફ વ્હીપના પદેથી હટાવી દીધા હતા, ત્યારબાદ કેન્દ્ર સરકારે તેમને તાત્કાલિક ‘Y’ કેટેગરીની સુરક્ષા આપી દીધી હતી. આ ઘટનાક્રમ બાદથી જ તેઓ પક્ષપલટો કરશે તેવી અટકળો તેજ થઈ ગઈ છે.
પક્ષપલટાના કાયદાનું ગણિત
બંગાળમાં લોકસભાની કુલ 42 બેઠકો છે. 2024ની ચૂંટણીમાં TMC ને 29 અને ભાજપને 12 બેઠકો મળી હતી (જ્યારે કોંગ્રેસને 1 બેઠક મળી હતી). જો સૌમિત્ર ખાનનો 20 સાંસદોનો દાવો સાચો પડે, તો કાનૂની રીતે સાંસદોનું સભ્યપદ બચી શકે છે. પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ અયોગ્યતાથી બચવા માટે સંસદીય પક્ષના ઓછામાં ઓછા બે-તૃતીયાંશ સભ્યો પક્ષ છોડે તે જરૂરી છે. TMC ના 29 સાંસદોમાંથી 20 સાંસદો પક્ષ છોડે તો તેમની સામે કાયદાકીય આંચકો નહીં આવે.
TMC એ દાવો ફગાવ્યો
બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ સૌગત રોયે સૌમિત્ર ખાનના આ તમામ દાવાઓને સદંતર ખોટા ગણાવ્યા છે. સૌગત રોયે કહ્યું કે, “આ વાત સંપૂર્ણપણે ખોટી છે. સૌમિત્ર ખાન અને ભાજપ માત્ર અફવાઓ ફેલાવી રહ્યા છે. બંગાળમાં આવું કશું જ થવાનું નથી. જો કે, છેલ્લા કેટલાક દિવસોમાં TMC ના અનેક સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓએ જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હોવાથી બંગાળમાં ઓલ ઈઝ નોટ વેલ હોવાના સંકેતો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.










