![]()
– મધ્ય પૂર્વના દેશોમાં યુદ્વના પગલે 31 માર્ચ સુધી 50 ટકા જ ગેસ આપવાની જાહેરાત
– યુદ્રની સ્થતિ નહીં સુધરે તો અને ગેસનો પુરતો પુરવઠો ન મળે તો ૧ એપ્રિલ બાદ મોટા ભાગના ઉદ્યોગોને બંધ થશે, 32 હજારથી વધુ લોકોને અસર થશે
સુરેન્દ્રનગર : ઇરાન અને ઇઝરાયલ સહિત મધ્ય અને પૂર્વના દેશોમાં ચાલી રહેલી યુદ્વની સ્થિતિના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના સિરામિક ઉદ્યોગોમાં ગેસનો પુરવઠો એક એપ્રિલ સુધી ૫૦ ટકા કરવાની જાહેરાત કરી હતી. જેના કારણે ૨૫૦ સિરમિક એકમોમાં ઉત્પાદન પર અસર થઇ છે. યુદ્ર શરૂ થતાં પહેલા આઠથી દસ કારાખાના બંધ થઇ ગયા છે. સ્થિતિ ન સુધરે તો ૩૧ માર્ચ બાદ થાન તાલુકાના મોટાભાગના સિરામિક એકમો બંધ કરવા પડે તેવી સ્થિતિ ઉભી થશે. જેના કારણે ઉદ્યોગકારો, શ્રમિકો, કર્મચારીઓ અને ટ્રાન્સોપ્રટરો સહિત ૩૨ હજારથી વધુ લોકોએ અસર પડશે.
થાન શહેરી વિસ્તાર અને આસપાસના ગામોમાં ૨૫૦થી વધુ નાના મોટા સિરામિક એકમો આવેલા છે. જે પૈકી ૭૦ ટકા એકમોમાં ગુજરાત ગેસ કંપની પાસેથી ગેસ મેળવે છે. જે ગેસ માટે સિરામિક ઉદ્યોગકારો કંપનીને પ્રતિ ક્યુબિક યુનિટ મુજબ ભાવની ચૂકવણી કરે છે. થાન તાલુકામાં બનતી સિરામિક પ્રોડક્ટસનું ડિમાન્ડ વર્ષોથી રહેલી છે અને દેશ અને વિદેશમાં નિકાસ કરાઇ છે. સરકાર દ્વારા વારંવાર સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવમાં ળધારો ઝીંકવામાં આવતા એકમોને ફટકો સહન કરવાનો વારો આવ્યો છે.
ખાડી દેશીમાં ચાલી રહેલા યુદ્વની સ્થિતના કારણે થાનના સિરામિક ઉદ્યોગને પણ અસર થઇ છે. ગુજરાત ગેસ લિમિટેડ કંપની દ્વારા ગત તા. ૬ માર્ચથી ૩૧ માર્ચ સુધી સિરામિક ઉદ્યોગમાં વપરાશના ૫૦ ટકા જટેલો ગેસ આપવાની લેખિત જાણ કરતા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મૂકાયા છે. આ સ્થિતિમાં ઉત્પાદન ઘટતા નુકસાન થવાની દહેશત છે. થાન તાલુકામાં અંદેજા ૧૦ સિરામિક ઉદ્યોગ તો અગાઉથી બંધ થઇ ચૂક્યા છે અને સરકાર દ્વારા સૂચના આપી છે કે, સિરામિક ઉદ્યોગો અગાઉથી બંધ છે. તેમને હાલ પૂરતા ફરી શરૂ કરવા પણ તાકીદ કરવામાં આવી છે.
થાન તાલુકાના સિરામિક ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ, હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને તેઓ સરકારની સુચનાનું પાલન કરી સહકાર આપવા તૈયાર છે પરંતુ આવી જ પરિસ્થિતિ લાંબો સમય રહેશે તો આવનાર દિવસોમાં થાનનો સિરામિક ઉદ્યોગ નામશેષ થઈ જાય તેમ લાગી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા આ ઉદ્યોગને જીવંત રાખવા યોગ્ય રસ્તો કાઢવામાં આવે તેવી સિરામિક ઉદ્યોગકારો માંગ કરી રહયા છે.










