![]()
જૂનાગઢ જિલ્લા પંચાયત ચૂંટણી પરિણામનું વિશ્લેષણ : ગ્રામીણ જનતાએ પરિવર્તન માટે મત આપ્યા છે પણ એ મત વહેંચાઈ જતાં આંકડામાં ભાજપ વિજેતા તરીકે ઉભર્યો
જૂનાગઢ, : તાજેતરમાં જાહેર થયેલા તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટણી પરિણામો બાદ ભાજપ ભલે પોતાની જીતના ગેલમાં હોય પરંતુ મતના ઊંડા વિશ્લેષણે એક નવું જ ચિત્ર સ્પષ્ટ કર્યું છે. સત્તાવાર આંકડાઓ સાબિત કરે છે કે ભાજપનો કહેવાતો દબદબો વાસ્તવિકતા કરતા ભ્રામક વધુ છે. હકીકતમાં ગ્રામ્ય વિસ્તારના બહુમતી મતદારોએ ભાજપને નકારી કાઢ્યો છે પરંતુ વિરોધ પક્ષોના મતોનું વિભાજન ભાજપ માટે જીતનાં વરદાનરૂપ સાબિત થયું છે.
ચૂંટણી વિશ્લેષકોના મતે આ આંકડાઓ પરથી જૂનાગઢ જિલ્લામાં ભાજપ સામે જબરદસ્ત જનાક્રોશ અને વિરોધ સાબિત થાય છે. જ્યારે ભાજપ સામે આપ અને કોંગ્રેસ અલગ-અલગ મેદાનમાં ઉતરે છે ત્યારે ભાજપ વિરોધી મતોના બે ભાગ પડી જાય છે. આ મતનું વિભાજન ભાજપની બેઠકો વધારવામાં સીધો ફાયદો કરે છે. ભાજપના નેતાઓ ભલે પ્રદેશ કક્ષાએ પોતાના સુશાસન અને પરફોર્મન્સના દાવા કરે પરંતુ વાસ્તવિકતા એ છે કે તેઓ માત્ર વિપક્ષની ફૂટના કારણે સત્તાના સિંહાસન સુધી પહોંચી શક્યા છે.
જો ભાજપ સામે આપ અને કોંગ્રેસનું ગઠબંધન થાય અથવા મતનું વિભાજન અટકે તો ભાજપ માટે ટકી રહેવું મુશ્કેલ બની જાય તેવી શક્યતા વ્યક્ત કરી તજજ્ઞાો ઉમેરે છે કે ભાજપની આ જીત એ લોકચાહનાનો વિજય નથી પરંતુ વિરોધ પક્ષોની વ્યૂહાત્મક નિષ્ફળતા અને મતના ભાગલાનું પરિણામ છે. ગ્રામીણ જનતાએ પરિવર્તન માટે મત આપ્યા છે પણ એ મત વહેંચાઈ જતા લોકશાહીના આંકડામાં ભાજપ વિજેતા તરીકે ઉભરી આવ્યો છે.
ભાજપને 2.14 લાખ અને ભાજપ વિરોધી મત 2.41 લાખ
જિલ્લા પંચાયતની 30 બેઠકો પર ચૂંટણી લડેલા 30 ઉમેદવારોના મતના સરવાળા મુજબ ભાજપને કુલ 2,14,836, આમ આદમી પાર્ટીને 1,43,318,કોંગ્રેસને 98524 મત મળ્યા છે. એટલે કે કુલ ભાજપ વિરોધી 2,41,842 મત છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ભાજપ વિરોધી મતની સંખ્યા ભાજપને મળેલા મત કરતા 26,987 જેટલી વધારે છે. એટલે કે, કુલ મતદાનમાં ભાજપ બહુમતી મતદારોની પસંદગી બનવામાં નિષ્ફળ રહ્યું છે.










