અમદાવાદ, શનિવાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શહેરના દરિયાપુર વોર્ડમાં નવા રાજકીય સમીકરણો રચાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર અને દરિયાપુર લઘુમતી મોરચાના ઇન્ચાર્જ જાવેદ શેખે આ વખતે મજબૂત દાવેદારી નોંધાવતા સ્થાનિક રાજકારણમાં ચર્ચાઓ તેજ બની છે.
વફાદારી અને અનુભવનો સંગમ
છેલ્લા ૧૬ વર્ષથી ભાજપ સાથે અતૂટ રીતે જોડાયેલા જાવેદ શેખે પાર્ટીમાં કાર્યકરથી લઈને લઘુમતી મોરચાના ઇન્ચાર્જ સુધીની સફર ખેડી છે. તેમણે પાયાના સ્તરે સંગઠનને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જાવેદ શેખનો દાવો છે કે જો પાર્ટી તેમના પર ભરોસો મૂકી ટિકિટ આપે, તો તેઓ આ બેઠક પર ભાજપને ઐતિહાસિક વિજય અપાવી શકે તેમ છે.
મતોનું ગણિત અને કોંગ્રેસની ચિંતા
દરિયાપુર વોર્ડના મતદારોના આંકડા પર નજર કરીએ તો અહીં આશરે ૩૭,૦૦૦ મુસ્લિમ મતદારો અને ૪૦,૦૦૦ અન્ય જ્ઞાતિના મતદારો છે. અત્યાર સુધી આ બેઠક પર મુસ્લિમ મતોના આધારે કોંગ્રેસ મજબૂત રહી છે, પરંતુ જાવેદ શેખની દાવેદારીથી આ વોટબેંકમાં મોટું ગાબડું પડી શકે છે. પોતાની જ જ્ઞાતિના શિક્ષિત અને સક્રિય ઉમેદવાર હોવાથી મુસ્લિમ મતો જાવેદ શેખ તરફ વળવાની પ્રબળ શક્યતા છે, જે સીધું નુકસાન કોંગ્રેસને પહોંચાડી શકે છે.
ધ્રુવીકરણ રોકવાની રણનીતિ
ભાજપના વફાદાર મતદારો હંમેશા વ્યક્તિને બદલે ‘કમળ’ના નિશાનને જોઈને મતદાન કરતા આવ્યા છે. જો ભાજપ જાવેદ શેખને મેદાનમાં ઉતારે છે, તો મતોનું ધ્રુવીકરણ થતા અટકશે. પાર્ટીના અગ્રણી નેતાઓ પણ માને છે કે લઘુમતી ઉમેદવારને ટિકિટ આપવાથી વિપક્ષના વોટ વિભાજિત થશે અને ભાજપના પરંપરાગત મતો ઉમેરાતા જીતનો માર્ગ સરળ બનશે. જો કે, આ દોડમાં ભાજપના અન્ય અગ્રણી મહેશ પંચાલનું નામ પણ ચર્ચામાં છે.
હવે જોવાનું એ રહેશે કે ભાજપ હાઈકમાન્ડ દરિયાપુરમાં જૂના વફાદાર અને લઘુમતી ચહેરા પર પસંદગી ઉતારીને નવો ઇતિહાસ રચે છે કે કેમ.










