![]()
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૯
વિદ્યાર્થીઓને ચોખ્ખી હવા મળી રહે તે માટે પ્રથમ તબક્કામાં
દિલ્હીની શાળાઓનાં ૧૦,૦૦૦
વર્ગખંડોમાં એર પ્યુરિફાયર લગાવવામાં આવશે તેમ દિલ્હી શિક્ષણ પ્રધાન આશિષ સૂદે એક
નિવેદનમાં જણાવ્યું છે.
સૂદે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સરકાર લાંબાગાળાના વહીવટી ઉપાયોના માધ્યમથી પ્રદૂષણની
સમસ્યાનો ઉકેલ મેળવવા કટિબદ્ધ છે. તેમણે અગાઉની આમ આદમી પાર્ટીની સરકાર પર કટાક્ષ કરતા
જણાવ્યું હતું કે અમે એ નથી કે જેઓ આઇઆઇટીની ડિગ્રી બતાવે છે અને એકી-બેકી તથા ગાડી
ઓન અને ગાડી ઓફ જેવા અભિયાન ચલાવે છે.
અમે પ્રદૂષણની સમસ્યાને લાંબા ગાળાના વહીવટી ઉપાયોના
માધ્યમથી દૂર કરી રહ્યાં છીએ. અમે ઇચ્છીએ છીએ કે આપણા બાળકો સ્માર્ટ રીતે ભણે અને
સ્વચ્છ હવામાં શ્વાસ લે. પ્રથમ તબક્કામાં ૧૦,૦૦૦
વર્ગખંડોમાં એર પ્યુરીફાયર લગાવવામાં આવશે.
સત્તાવાર આંકડાઓ અનુસાર દિલ્હીમાં ૧૦૪૭ સરકારી અને સરકારી ગ્રાન્ટ
મેળવતી શાળાઓ છે. કુલ ૩૮૦૦૦ વર્ગખંડો છે. આ
તમામ વર્ગોખંડોમાં તબક્કાવાર રીતે એરપ્યુરીફાયર લગાવવામાં આવશે.
બીજી તરફ આજે પીયુસી વગરના વાહનોને ઇંધણ ન આપવાના નિર્ણયનો
અમલ શરૃ કરી દેવામાં આવ્યો હતો. આજે પ્રથમ દિવસે પીયુસી વગરના ૨૮૦૦ વાહનોને ઇંધણ
આપવામાં આવ્યું ન હતું.
પીયુસી વગરના વાહનોને ઇંધણ ન મળે તે માટે ત્રણ
એન્ફોર્સમેન્ટ ટીમો તૈનાત કરવામાં આવી હતી. પ્રથમ દિવસે પીયુસી વગરના વાહનો સામે
૩૭૪૬ ચલણ જારી કરવામાં આવ્યા હતાં.










