Road Accident In New Delhi: નવી દિલ્હીના 11 મૂર્તિ નજીક ચાણક્યપુરીના પોશ વિસ્તારમાં આજે રવિવારે સવાર-સવારમાં રફતારનો કહેર થયો હતો. એક બેકાબૂ બનેલી થારે બે લોકોને કચડી નાખ્યા હતા, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
રાષ્ટ્રપતિ ભવનથી બે કિમીના અંતરે આ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, મૃત્યુ પામેલો વ્યક્તિ રસ્તા પર ચાલી રહ્યો હતો. ત્યારે અચાનક થારે ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. એક વ્યક્તિને અડફેટે લીધા બાદ થાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેના લીધે થારનું ફ્રન્ટ વ્હિલ ફાટી ગયુ હતું. અને અન્ય એક વ્યક્તિને અડફેટે લીધો હતો. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, અકસ્માત બાદ મૃતકનો શબ કલાકો સુધી રસ્તા પર પડી રહ્યો હતો.
આ પણ વાંચોઃ 5 લાખનો વાયદો અને 5-5 હજારના ચેક આપ્યા, ઉત્તરકાશીમાં ધરાલીના પીડિતો સાથે ભાજપની ક્રૂર મજાક
કારચાલક નશાની હાલતમાં હોવાની શંકા
ચાણક્યપુરી પોલીસ સ્ટેશને જણાવ્યું હતું કે, બેફામ થાર હંકારી રહેલા વ્યક્તિએ બે લોકોને અડફેટે લીધા હતા. જેમાં એકનું ઘટનાસ્થળે મોત થયુ હતું અને અન્ય એક ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્તની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. થાર એટલી ફૂલ સ્પીડમાં હતી, તે અકસ્માત દરમિયાન તેનું ફ્રન્ટ વ્હિલ નીકળી ગયુ હતું. થાર ચાલકની અટકાયત કરવામાં આવી છે. કારમાંથી દારૂની બોટલ મળી આવી છે. આ મામલે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઝોકું આવતાં અકસ્માત થયોઃ કારચાલક
આરોપી થાર ચાલક 26 વર્ષીય યુવક છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે, આ થાર કાર તેના મિત્રની છે. તેને અચાનક ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હતો. પોલીસ હાલ તપાસ કરી રહી છે કે, કારચાલક નશામાં હતો કે કેમ? ફોરેન્સિક ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી અને બોટલમાંથી ફિંગરપ્રિન્ટ પણ લેવામાં આવ્યા છે.











