દિવાળીનો તહેવાર વડોદરા એસટી વિભાગ માટે આર્થિક રીતે ફળદાયી નીવડયો છે. મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા માટે એકસ્ટ્રા બસો દોડાવવાના કારણે વડોદરા સેન્ટ્રલ બસ ડેપોને રૂ. ૪૬.૨૧ લાખની આવક થઈ છે.
રાજ્યમાં દિવાળીના પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જવા ની કળતા એસટીની બસોમાં ભારે ભીડ જોવા મળી હતી. આ ભીડને ધ્યાનમાં રાખીને એસ.ટી નિગમે ડિવિઝન મુજબ એક્સ્ટ્રા બસોનું સંચાલન કર્યું હતું. વડોદરા એસટી વિભાગ દ્વારા તા. ૧૯ થી ૨૦ ઓક્ટોબર સુધી ૩૫૦ તથા તા. ૨૩થી ૨૮ ઓક્ટોબર સુધી ૨૫૦ એકસ્ટ્રા બસો દોડાવી હતી. જેમાં ૩૪,૯૯૪ મુસાફરોએ મુસાફરી કરી હતી. અને ૮૨૭ ટ્રીપોમાં ૯૩,૪૭૧ કિ.મી અંતર કાપ્યું હતું. આ અવધિ દરમ્યાન એસટી વિભાગને રૂ. ૪૬,૨૧,૧૭૬ લાખની આવક થઈ છે. મધ્ય ગુજરાતમાં વડોદરા ડેપો સૌથી વ્યસ્ત ગણાય છે, જ્યાં રોજ હજારો મુસાફરોની અવરજવર રહેતી હોય છે. દિવાળીના દિવસોમાં ખાસ કરીને પંચમહાલ, દાહોદ, અમદાવાદ, સુરત અને લુણાવાડા તરફ મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.

વર્ષ ૨૦૨૪માં દિવાળી પર્વે વડોદરા એસટી વિભાગે એક્સ્ટ્રા બસો દોડાવી હતી. અને ૬૦૪ ટ્રિપમાં ૨૧,૮૭૧ મુસાફરોએ મુસાફરી કરતા એસટી વિભાગને રૂ. ૨૮,૮૯,૯૯૨ની આવક થઈ હતી. આ વર્ષે મુસાફરોની સંખ્યામાં ૧૩,૦૯૩ હજાર તથા આવકમાં રૂ. ૧૭,૩૪, ૧૮૪ લાખ વધારો નોંધાયો છે.
રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણી માટે એસટી વિભાગ દ્વારા ૨૦૦ બસોની ફાળવણી
૩૧ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ઉજવાતી રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણીને લઈ એક્તાનગર માટે એસટી વિભાગ દ્વારા ૨૦૦ બસો ફાળવવામાં આવી છે. જેમાં વડોદરા વિભાગે તા. ૨૯ થી ૩૧ ઓક્ટોબર સુધી રોજ ૫૦ બસો ફાળવી છે. જેનું સંચાલન ભરૂચ એસટી વિભાગકરી રહ્યું છે.










